શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (વેડ રોડ) ના વિદ્યાર્થીઓએ લીધા મતદાન જાગૃત્તિના શપથ: ‘લોકશાહીના પર્વ’માં સહભાગી થવા મતદારોને કરી અપીલ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ (વેડ રોડ) ના વિદ્યાર્થીઓએ લીધા મતદાન જાગૃત્તિના શપથ: ‘લોકશાહીના પર્વ’માં સહભાગી થવા મતદારોને કરી અપીલ
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય અને લોકો ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીના મહાપર્વમા જોડાય તેવા આશયથી વેડ રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ મતદાન જાગૃત્તિના સામૂહિક શપથ લીધા હતા. લોકશાહીના પાયાને મજબૂત કરવાના ઉમદા હેતુ સાથે વિદ્યાર્થીઓએ પુખ્ત થયા બાદ અવશ્ય મતદાન કરવાની અને અન્ય મતદારોને જાગૃત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
વિદ્યાર્થીઓએ ‘મારો મત, મારો અધિકાર’ અને ‘ચૂંટણીમાં મતદાન અવશ્ય કરીશું’ જેવા સૂત્રોચ્ચાર સાથે શપથ ગ્રહણ કર્યા હતા. ભલે વિદ્યાર્થીઓ હાલ મત આપવા માટે વયસ્ક ન હોય, પરંતુ તેઓ એક ‘બાલદૂત’ તરીકે સમાજમાં પરિવર્તન લાવી શકે છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો.
ગુરૂકુળના પૂ.પ્રભુ સ્વામીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રના નિર્માણ માટે દરેક નાગરિકનો મત કિંમતી છે. શિક્ષણની સાથે નાગરિક ધર્મ નિભાવવો એ પણ એટલું જ જરૂરી છે. આપણા વિદ્યાર્થીઓ દ્વારા લેવાયેલા આ શપથ સમાજના વડીલોને મતદાન મથક સુધી પહોંચવા માટે પ્રેરણા પૂરી પાડશે.



