પોલીસકર્મીઓના ધમર્પત્નીઓને જરી જરદોશીની તાલીમનો પ્રારંભ

પોલીસકર્મીઓના ધમર્પત્નીઓને જરી જરદોશીની તાલીમનો પ્રારંભ
કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ ૩૦ બહેનો તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે
કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની સમર્થ યોજના દ્વારા ૩૦ બહેનોને એક મહિનાની તાલીમ અપાશે
રાજ્યમાં પ્રથમવાર સુરત પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગહલૌતના ધર્મપત્ની શ્રીમતી સંધ્યાબેન ગહલૌત તથા નાયબ પોલીસ કમિશનર ભક્તિબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પ્રથમ તબક્કામાં ૩૦ બહેનો તાલીમ મેળવી આત્મનિર્ભર બનશે. અમી હેન્ડીક્રાફટના ઉપક્રમે તાલીમાર્થીઓ મહિલાઓને જરી-જરદોશી વર્કની કીટસ એનાયત કરવામાં આવી હતી.
પૂર્વ કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશની વિશેષ ઉપસ્થિતિમાં સુરત પોલીસ મુખ્ય મથક, કોમ્યુનિટી હોલ પાસેના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતેથી તાલીમનો પ્રારંભ કરાવતા સંધ્યાબેન ગહલૌતે જણાવ્યું હતું કે, અમી હેન્ડીક્રાફટ પ્રોડયુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પોલીસ પરિવારની બહેનોને ૩૦ દિવસની જરદોશી તાલીમ અને બાદ ૧૫ દિવસની વિશેષ બેઝિક તાલીમ એમ મળી કુલ ૪૫ દિવસની તાલીમ આપવામાં આવશે.
કેન્દ્રની સમર્થ યોજનાનું અમલીકરણ કરનાર અમી હેન્ડીક્રાફટ દ્વારા તાલીમાર્થીઓને સર્ટિફીકેટ આપી તેમને જરી ફ્રેમવર્ક, ગિફ્ટ આર્ટીકલ્સ, વસ્તુઓની પ્રોડકટના ડેવલપમેન્ટમાં સક્ષમ બનાવાશે. આ તાલીમના માધ્યમથી પોલીસ પરિવારની મહિલાઓ ક્રિએટિવ થિન્કીંગ સાથે પ્રવૃત્તિમય બને એવો અમારો હેતુ છે એમ સંધ્યાબેન ગહલૌતે ઉમેયું હતું.
પૂર્વ કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરતની જરીની વૈશ્વિક ઓળખ છે. પોલીસ પરિવારની મહિલાઓ તેમના ફ્રી-ટાઈમમાં પરંપરાગત જરદોશી હેન્ડવર્ક શીખીને કુશળ બને સાથોસાથ સ્વનિર્ભર પણ બને એવો આ તાલીમનો હેતુ છે. અગાઉ સામાન્ય પરિવારોની ૧૫૦ મહિલાઓને અમી હેન્ડીક્રાફટ દ્વારા તાલીબદ્ધ કરવામાં આવી છે, જે તમામ સ્વતંત્ર કામ કરીને રોજગારી મેળવવા સાથે પરંપરાગત જરી-જરદોશી હહેન્ડવર્કને જીવંત રાખી રહી છે, ત્યારે પોલીસ પરિવારની બહેનો પણ સુરતની પરંપરાગત-પ્રાચીન જરી-જરદોશી હેન્ડવર્કની કલાને જીવંત રાખવામાં નિમિત્ત બનશે.
નાયબ પોલીસ કમિશનર ભક્તિબા ડાભીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારની સમર્થ યોજના હેઠળ ૩૦ બહેનોની તાલીમ પૂર્ણ થયા બાદ તેમની પરીક્ષા લેવાશે. અને ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓએ જરી-જરદોશી હેન્ડવર્કથી બનાવેલા કાપડ પર જરી વર્કની ફોટોફ્રેમ, ચિત્રો, જરી ગિફ્ટ આર્ટિકલ્સનું વેચાણ માટે કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયના સહયોગથી મંચ પૂરો પાડવામાં આવશે. અમી સુરતનું જરી એસોસિએશન નજીવા દરે જરી-જરદોશીનો કાચો માલ પૂરો પાડશે.
આ પ્રસંગે મનપાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, કોર્પોરેટર કૈલાસબેન સોલંકી, ડી.સી.પી. (ટ્રાફિક) અમિતા વાનાણી, ડી.સી.પી.(સ્પેશ્યલ બ્રાંચ) હેતલ પટેલ, અમી હેન્ડીક્રાફટ પ્રોડયુસર કંપનીના આશય જરદોશ, તુષાર દેસાઈ, કૌશિક દેસાઈ અને નેહલ દેસાઈ, જરી એસોસિએશનના પ્રમુખ દિપકભાઈ કુકડીયા, ઉપપ્રમુખ તુષારભાઈ કુવાડિયા સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી.