ગુજરાત

૧૧ મે ના રોજ નારાયણ સેવા સંસ્થાનો નિ:શુલ્ક લિમ્બ ફિટમેન્ટ કેમ્પ યોજાશે

૧૧ મે ના રોજ નારાયણ સેવા સંસ્થાનો નિ:શુલ્ક લિમ્બ ફિટમેન્ટ કેમ્પ યોજાશે

સુરતના 379 થી વધુ દિવ્યાંગો કૃત્રિમ હાથ-પગ દ્વારા નવી જિંદગી મળે તેવી આશા

સુરત, ૦૯ મે ૨૦૨૫ : દિવ્યાંગજનો અને માનવસેવા માટે દેશ-વિદેશમાં પ્રખ્યાત ઉદયપુરની નારાયણ સેવા સંસ્થા, શ્રી શાંતાબેન ત્રિભુવનદાસ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ટી.એમ.પટેલ ઈન્ટરનેશનલ સ્કુલના સહયોગથી, ગુજરાતના દિવ્યાંગો માટે 11 મે, રવિવારના રોજ સુરતમાં નિ:શુલ્ક “નારાયણ લિમ્બ અને કેલિપર્સ ફિટમેન્ટ કેમ્પ”નું આયોજન કરવામાં આવશે. આ કેમ્પ મહારાજા અગ્રસેન ભવન, સિટી લાઈટ, ખાતે સવારે 8:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન અગાઉથી પસંદ કરાયેલા દિવ્યાંગોને કૃત્રિમ હાથ, પગ અને કેલિપર્સ આપવામાં આવશે અને તે સંપુર્ણપણે નિઃશુલ્ક રહેશે.
નારાયણ સેવા સંસ્થાના સુરત શાખા પ્રભારી અને કેમ્પ સંયોજક શ્રી અચલસિંહ ભાટીએ જણાવ્યું હતું કે, ‘સંસ્થાએ છેલ્લા 40 વર્ષથી ભારતના વિવિધ રાજ્યોના દિવ્યાંગ ભાઈઓ-બહેનોને તેમના પોતાના શહેર કે નજીકના સ્થળે સારવાર મળી રહે એ માટે સતત પ્રયત્નો કર્યા છે. આ જ કેમ્પ હેઠળ નારાયણ સેવા સંસ્થાએ 23 ફેબ્રુઆરીએ સુરતમાં નિઃશુલ્ક લિમ્બ મેજરમેન્ટ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં 500થી વધુ દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાંથી 379 દર્દીઓ એવા હતા જેમણે રોડ અકસ્માત કે અન્ય કોઈ દુર્ઘટનામાં હાથ કે પગ ગુમાવ્યા હતા. આ દર્દીઓને પસંદ કરીને સંસ્થાએ નારાયણ લિમ્બ માટે કાસ્ટિંગ અને માપ લીધા હતા.
આગળ શ્રી ભાટીએ જણાવ્યું હતું કે, ‘હવે સુરતમાં આ 379 દિવ્યાંગોને જર્મન ટેકનોલોજીથી બનેલા નારાયણ લિમ્બ ફિટ કરીને, તેમને નવી જિંદગી આપવામાં આવશે.’ આ તમામ લોકોને પહેલા તેમના પરિવાર પર જીવન જીવવા નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે સંસ્થા તેમને આત્મનિર્ભર બનાવી, સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાવવાનું કાર્ય કરી રહી છે. જે વિકસિત ભારતની દિશામાં એક મહત્વપુર્ણ પગલું સાબિત થશે.
આગામી 11 મેના રોજ સુરતના મહારાજા અગ્રસેન ભવન ખાતે યોજાનાર નારાયણ લિમ્બ ફિટમેન્ટ કેમ્પના પ્રચારાર્થે આજે કેમ્પના આયોજકો તથા ટી.એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ચેરમેન શ્રી હરીશભાઈ પટેલ, શાખા પ્રભારી અચલસિંહ ભાટી અને ટ્રસ્ટી ધર્મેશભાઈ પટેલ દ્વારા કેમ્પનું ઓફિશિયલ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું હતું.
ચેરમેન શ્રી હરીશભાઈ પટેલે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ‘નારાયણ સેવા સંસ્થા માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી, તેણે કેન્યા, યુગાંડા, તાંઝાનિયા, નેપાળ સહિતના સાઉથ આફ્રિકાના દેશોમાં પણ સેવાનો વિસ્તાર કર્યો છે. સંસ્થા દર મહિને આશરે 1500 જેટલા દર્દીઓને કૃત્રિમ હાથ અને પગ ફિટ કરે છે.’
આ ભવ્ય કેમ્પના ઉદ્ઘાટન માટે ઘણા મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. કેમ્પમાં આવતા તમામ દિવ્યાંગો માટે સંસ્થા તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે. લિમ્બ ફિટમેન્ટ બાદ તેમને ચાલવાની અને નવી રીતે જીવન જીવવાની તાલીમ પણ આપવામાં આવશે. આ માટે સંસ્થાની 40 સભ્યોની વિશિષ્ટ ટીમ તત્પર રહેશે. કેમ્પમાં સુરતના 100થી વધુ સામાજિક કાર્યકરો અને પ્રખ્યાત નાગરિકો પણ હાજરી આપશે. સંસ્થાએ જનતાને અનુરોધ કર્યો છે કે, જે કોઈ વ્યક્તિ દિવ્યાંગોને મદદ કરવાની ઈચ્છા ધરાવતા હોય તે આ સેવા યજ્ઞમાં જોડાઈને સહયોગી બની શકે છે. શ્રી પટેલે જણાવ્યું કે, ‘અમે શિક્ષણ ક્ષેત્રે પણ સેવા આપી રહ્યા છીએ અને આ લિમ્બ કેમ્પ દ્વારા દિવ્યાંગોને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાના પ્રયત્નો કરીશું. સંસ્થાના સહયોગથી ભવિષ્યમાં પણ આવા કેમ્પો સતત આયોજિત કરતા રહીશું.”
નારાયણ સેવા સંસ્થા, 1985થી “નર સેવા, નારાયણ સેવા”ની ભાવના સાથે કાર્યરત છે. તેના સ્થાપક કૈલાશ માનવને, માનવ સેવા માટે રાષ્ટ્રપતિશ્રીએ પદ્મશ્રીથી નવાજ્યા છે. સંસ્થાના અધ્યક્ષ પ્રશાંત અગ્રવાલ વિભિન્ન સેવાઓ – જેમ કે મેડિકલ, શિક્ષણ, સ્કિલ ડેવલપમેન્ટ અને સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા લાખો દિવ્યાંગોને આત્મનિર્ભર બનાવી ચૂક્યા છે. તેમને વર્ષ 2023માં રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ પુરસ્કાર પણ પ્રાપ્ત થયો છે. સંસ્થાએ આજ દિન સુધી 40,000થી વધુ કૃત્રિમ અંગોનું ફિટમેન્ટ કર્યું છે અને હવે ગુજરાતના દિવ્યાંગો માટે વિશાળ સ્તરે કાર્ય કરીને તેમની અટકેલી જિંદગી ફરી શરૂ કરાવવાનો સંકલ્પ લીધો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button