સાધલીમાં જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે બે દીકરીઓએ અઠ્ઠાઈ તપનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું

સાધલીમાં જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે બે દીકરીઓએ અઠ્ઠાઈ તપનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું
બંને દીકરીઓની ભવ્ય શોભાયાત્રા સાથે શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય મુકામે પારણા કરાવવામાં આવ્યા
શિનોર તાલુકાના સાધલી મુકામે દેરાવાસી જૈન સમાજના ત્રણથી ચાર કુટુંબ અને સ્થાનકવાસી જૈન સમાજના છ થી સાત કુટુંબોના બે સંઘો આવેલા છે. અને બંને સંઘ દ્વારા પર્વાધિરાજ પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને અંતિમ દિવસે ખાસ પ્રતિક્રમણ કરાયું હતું, અને પ્રતિક્રમણ પછી એકબીજાને વર્ષ દરમિયાન જો કોઈના દિલને ઠેસ પહોંચાડી હોય તો માફી માગી મિચ્છામી દુક્કડમ કરાયું હતું. અને આ પ્રસંગે જૈન સમાજનું આધ્યાત્મિકતા, આત્મચિંતન સાથે ક્ષમાભાવનું વાતાવરણ જોવા મળ્યું હતું.
આજરોજ તારીખ 16 સપ્ટેમ્બર 2026 ના રોજ સાધલીની બે દીકરીઓ વિશ્વા અતુલભાઈ શાહ અને જીલ પરેશભાઈ શાહ દ્વારા અઠ્ઠાઈ તપનું અનુષ્ઠાન પૂર્ણ કર્યું હતું ,જેથી આજે તેઓ બંને દીકરીઓની બંને સંઘ દ્વારા ઢોલ નગારા સાથે ખુલ્લી ગાડીમાં દિવ્ય શોભાયાત્રા કાઢી હતી અને શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય સાધલી મુકામે પારણા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, ત્યાં સગા સંબંધીઓ, તથા જૈનેતરો દ્વારા પારણા કરાવવામાં આવ્યા હતા. દેરાવાસી જૈન સંઘ દ્વારા બંને દીકરીઓનું બહુમાન કરી સન્માન કરવામાં આવ્યું હતું.
વાડીલાલ કચરાભાઈ શાહ તથા હરગોવિંદભાઈ કચરાભાઈ શાહ પરિવાર દ્વારા આજે સવારે 8:00 કલાકે નવકારસી, 11 કલાકે પારણા નો હૃદય દ્રાવક કાર્યક્રમ ખૂબ જ ભાવ વિભોર બન્યો હતો અને 12:00 કલાકે વિવિધ વાનગીઓના રસથાળ સાથે સંઘ ભોજનનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવ્યો હતો. અને બપોરે 03:00 કલાકે તપસ્વીઓ માટે સંગીતમય સાંઘી નો કાર્યક્રમ યોજાયો હતો, અને બંને પરિવાર તરફથી પ્રભાવના આપવામાં આવી હતી.



