સાધલીમાં દોઢ મહિનાથી પાણીની પાઇપલાઇન લીકેજ, પંચાયતની બેદરકારીથી રોગચાળાનો ભય

સાધલીમાં દોઢ મહિનાથી પાણીની પાઇપલાઇન લીકેજ, પંચાયતની બેદરકારીથી રોગચાળાનો ભય
સાધલીમાં પરમાર ફળીયા પાસે પાણીની પાઇપલાઇન દોઢ મહિના થી તૂટેલી છે, છતાં પંચાયત મરામત કરાવવામાં નિષ્ક્રિય રહેલ છે.
સાધલી ગામમાં રહેવાસીઓના ઘરોમાં આ પાણી જવાથી, ભરાઈ રહેલ પાણી પાઇપલાઇનમાં જવાથી રોગચાળો ફાટી નીકળવાની સંભાવના છે.
શિનોર તાલુકાના સાધલી મુકામે પરમાર ફળિયા પાસે આવેલ પાણીની ટાંકી પાસે ત્રણ રસ્તા ના ત્રિભેટે છેલ્લા દોઢ મહિનાથી પાઇપલાઇન તૂટી હોવાના કારણે પાણી ભરાઈ રહે છે, અને પાણી બંધ થયા પછી આ ભરાઈ રહેલા પાણીના ખાબોચિયામાંથી ભેંસો ,બળદો ,કુતરા અને ગાયો પસાર થાય છે ,જેઓના મળ મૂત્રથી પાણી દૂષિત થાય છે અને આ દૂષિત થયેલું પાણી શોષાઈને પીવાના પાણીની લાઈનમાં જાય છે. આ રસ્તે લીકેજ હોવા છતાં પણ આર સી સી નો રસ્તો બનાવવામાં આવેલ છે તથા બાજુમાં પેવર બ્લોક નાખવામાં આવ્યા છે ,આ નવીન કામ કરતા પહેલાં જ આ લીકેજ પાઇપલાઇન રીપેર કરવાની જરૂરિયાત હતી. પરંતુ ગમે તે કારણોસર પંચાયત દ્વારા આ મહત્વનું કામ કરવામાં આવેલ નથી. આ પીવાનું પાણી સાધલીના મોટાભાગના ઉજળીયાત વિસ્તારમાં જાય છે. જાણવા મળ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા પણ ગ્રામ પંચાયતનું આ બાબતે ધ્યાન દોરવામાં આવેલ હતું અને વહેલામાં વહેલી તકે પાણીનું લીકેજ બંધ કરવા જણાવવામાં આવ્યું હતું.જેને પણ એક મહિના જેવો સમય થયો છતાં તંત્ર નિંદ્રાધીન છે, અને આ દૂષિત પાણીના કારણે પંચાયતનું તંત્ર રોગચાળાની રાહ જોઈ રહ્યુ હોય એમ લાગી રહ્યું છે.



