કામરેજ ખાતે ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ કરાવતા સાંસદ પ્રભુભાઈ વસાવા
ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યના ૨૨૦ આદિવાસી યુવાનો રાજ્યની ભાતીગળ સંસ્કૃતિને નીરખવા સુરત આવ્યા

સુરતઃગુરૂવારઃ કેન્દ્રીય યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય તેમજ ગૃહ મંત્રાલયના ઉપક્રમે તા.૪ થી ૧૦ જાન્યુઆરી દરમિયાન આયોજિત ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમનો શુભારંભ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યો હતો. ઝારખંડ રાજ્યના ચતરા, ગિરીડિહ, લાતેહાર, વેસ્ટ સિંઘભૂમ, સરાઈકેલા, ખરવાસા જિલ્લા, ઓડિશા રાજ્યના મલકાનગીરી, કાલાહાંડી જિલ્લા, આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ તેમજ તેલંગાણા રાજ્યના ભદ્રાદી- કોથાગુદેમ જિલ્લાઓમાંથી કુલ ૨૨૦ આદિવાસી યુવાઓ ભાગ લઈ રહ્યા છે.
સુરત જિલ્લાના કામરેજ સ્થિત દાદા ભગવાન ત્રિમંદિર ખાતે આયોજિત સમારોહમાં સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત અને એમાં પણ સુરત શહેર અને જિલ્લો શાંતિ અને સલામતીનું પ્રતિક રહ્યા છે. ચાર રાજ્યોમાંથી આવેલા આદિજાતિ યુવાનો રાજ્યની અભૂતપૂર્વ શાંતિ, સુખાકારી અને વિકાસની અનૂભૂતિ કરી પ્રગતિની શક્તિને સમજશે.
પોતપોતાના ગામ, શહેરમાં જઈ ગુજરાતના વિકાસ, સુખાકારીથી સૌને પરિચિત કરાવે એ માટેનો યુથ એક્સચેન્જનો આ પ્રયાસ છે એમ જણાવી તેમણે પોતાના વતન જઈ ગુજરાતની અસ્મિતાની સુવાસ ફેલાવવાનો સર્વ યુવાનોને અનુરોધ કર્યો હતો.
ભારત મહત્તમ યુવાશક્તિ ધરાવતો દેશ છે. દેશની વસ્તીના વિવિધ વયજૂથમાં યુવાનોનું પ્રમાણ સૌથી વધુ છે, ત્યારે યુવાનો જ દેશની તસવીર અને તાસીર બદલવા સક્ષમ છે એમ જણાવી સાંસદશ્રીએ ગુજરાતની મુલાકાત આ યુવાનો માટે અવિસ્મરણીય અનુભવ બની રહેશે એમ ઉમેર્યું હતું.