તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ

તાપી પ્રાગટ્ય દિવસ: નવચેતન અદાણી વિદ્યાલયના વિદ્યાર્થીઓએ આપ્યો નદી સંરક્ષણનો સંદેશ
સુરત, હજીરા: નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ (શિવરામપુર) દ્વારા ‘તાપી પ્રાગટ્ય દિવસ’ની અનોખી ઉજવણી કરવામાં આવી. પર્યાવરણીય જાગૃતિના હેતુથી વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હજીરા ખાતે તાપી નદીના કિનારે પહોંચીને તાપી મૈયાનું ભાવપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું.
મુલાકાત પૂર્વે શિક્ષકોએ પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓને દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન તાપી નદીના ભૌગોલિક મહત્વ, પ્રદૂષણના કારણો અને નદી સંરક્ષણ અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ જ્ઞાનને અમલમાં મૂકતા વિદ્યાર્થીઓએ નદી કિનારે ઉત્સાહભેર સફાઈ ઝુંબેશ ચલાવી હતી અને પ્લાસ્ટિકમુક્ત તાપીનો સંદેશ આપતી એક પ્રભાવશાળી મૂક રેલી યોજી હતી.
વિદ્યાર્થીઓએ સ્વહસ્તે બનાવેલા આકર્ષક પોસ્ટરો દ્વારા સ્થાનિક નાગરિકો, વાહનચાલકો અને રાહદારીઓને નદી બચાવવા માટે પ્રેરિત કર્યા હતા. આ સરાહનીય પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરવા હજીરા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોના પ્રયાસોને બિરદાવ્યા હતા.
કાર્યક્રમના અંતે સૌએ તાપી નદીને કચરામુક્ત રાખવા, સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ત્યાગ કરવા અને પર્યાવરણનું જતન કરવાના સામૂહિક શપથ લીધા હતા. આ પ્રેરણાદાયી અભિયાન દ્વારા અદાણી વિદ્યાલયે વિદ્યાર્થીઓ સાથે સમાજમાં પણ પર્યાવરણીય સંવેદનશીલતા જગાવવાનો સશક્ત પ્રયાસ કર્યો છે.



