ગણપત યુનિવર્સિટીના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો “દીપ પ્રાગટ્ય” અને “શપથ ગ્રહણ” સમારોહ સુપેરે સંપન્ન

- ગણપત યુનિવર્સિટીના નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓનો “દીપ પ્રાગટ્ય” અને “શપથ ગ્રહણ” સમારોહ સુપેરે સંપન્ન
- નર્સિંગ ક્ષેત્રના નિસ્ણાત વિદ્વાનોએ આશીર્વાદ આપ્યા: સક્ષમ અને સંવેદનશીલ નર્સોનું અહીં કારકિર્દી – ચારિત્ર્ય નિર્માણ થયા કરે!
ગણપત યુનિવર્સિટીના એક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ – “કુમુદ ઍન્ડ ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ” દ્વારા નર્સિંગની ત્રીજી બૅચનાં વિદ્યાર્થીઓ માટે “દીપ પ્રાગટ્ય” અને “શપથ ગ્રહણ” સમારોહનું આયોજન ગઈ તા. 30મી ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું. ‘દીપ પ્રાગટ્ય’ અને ‘શપથ ગ્રહણ’ બાદ વિદ્યાર્થીઓને નર્સિંગના વ્યવસાયમાં વિધિવત પ્રવેશ મળ્યો ગણાય છે.
દીપ પ્રાગટ્ય પણ એક અર્થપૂર્ણ વિધિ છે. દીપ એક પ્રકાશનું પ્રતિક છે, જે નર્સ દ્વારા તેના દર્દીના દુઃખ અને પીડા દૂર કરી તેના જીવનમાં રાહત, સુખ અને આનંદ રૂપે ઝળહળે છે.
આ શપથ ગ્રહણ દ્વારા નર્સિંગના વિદ્યાર્થીઓ હવે જે વ્યવસાયમાં પ્રવેશે છે તેના પ્રત્યેના નિષ્ઠા અને સમર્પણની ભાવના પ્રગટ થાય છે.
ઓનલાઇન અને ઑફ્લાઇન – એમ હાઇબ્રિડ મોડમાં યોજાઈ ગયેલા આ સમારોહમાં નર્સિંગ ફેકલ્ટીના ડીન પ્રો. ડૉ. કરપાગવલ્લી નાગેશ્વરન દ્વારા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઈન-ચીફ અને પ્રેસિડેન્ટ પદ્મશ્રી ગણપતભાઈ પટેલે ખાસ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને આરોગ્યના ક્ષેત્રે એમની સેવાના મૂલ્યથી વાત કરીને જીવનમાં સફળતા માટેના આશીર્વાદ પાઠવ્યા હતા.
અન્ય મેહમાન – મહાનુભાવોમાં ગણપત યુનિવર્સિટીના પ્રો ચાન્સેલર અને ડાયરેકટર જનરલ પ્રો. ડૉ. શ્રી મહેન્દ્ર શર્મા, પ્રો વાઇસ ચાન્સેલર પ્રો. ડૉ. આર.કે. પટેલ તેમજ યુનિવર્સિટીનાં બોર્ડ ઑફ ગવર્નર્સના મેમ્બર ડૉ. શ્રી ગિરીબાલાબેન પટેલનો સમાવેશ થાય છે. સૌ મહેમાનોએ પોતાની મૂલ્યવાન શીખ આ અવસરે વિદ્યાર્થીઓને આપી હતી. સૌની ભાવના એ હતી કે આપણી આ ‘કુમુદ ઍન્ડ ભૂપેશ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ’ રાષ્ટ્રીય અને વૈશ્ચિક સ્તરે આરોગ્ય-સંભાળની જરૂરિયાતો પારખીને સક્ષમ અને સંવેદનશીલ નર્સોનું કારકિર્દી તેમજ ચારિત્ર્યનું ઘડતર કર્યા કરે.
કૉલેજ ઑફ નર્સિંગ, નૈનિતાલના ડૉ. રત્ના ચક્રવર્તી તેમજ દિલ્હીના સુપ્રતિષ્ઠિત હેલ્થ-ઇન્સ્ટિટ્યૂટ એઇમ્સમાં સેવા આપી ચૂકેલા વિદ્વાન નર્સ રૂપા રાવત સિંઘવીએ પણ ઓનલાઇન ઉપસ્થિત વિદ્યાર્થીઓને એમના જ્ઞાનનો લાભ આપ્યો હતો. ઇન્સ્ટિટ્યૂટના દાતા દંપતિ શ્રી ભુપેશભાઈ અને કુમુદબેન સમારોહમાં ઉપસ્થિત નહોતા રહી શક્યા પરંતુ વિદ્યાર્થીઓને એમના હૃદયપૂર્વક આશીર્વાદ અને શુભેચ્છા પાઠવ્યાં હતા. નર્સિંગ ઇન્સ્ટિ.ના એસોસિએટ પ્રો. શ્રી રવિ બારોટે આભાર વિધિ કરી હતી.