જમ્મુના રિયાસીમાં આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રા પર ખતરો, 20 શંકાસ્પદ લોકોની અટકાયત
જમ્મુના રિયાસીમાં આતંકી હુમલા બાદ અમરનાથ યાત્રા પર ખતરો, 20 શંકાસ્પદ લોકોની અટકાયત
નવી દિલ્હીઃ જમ્મુના રિયાસીમાં શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ 29 જૂનથી શરૂ થનારી અમરનાથ યાત્રા હવે જોખમમાં છે. બાબા બફરનીના દર્શન માટેની યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે. આને ધ્યાનમાં રાખીને જમ્મુ-કાશ્મીર પોલીસે સમગ્ર રાજ્યની સુરક્ષા સમીક્ષા પણ હાથ ધરી હતી, જેથી જાણી શકાય કે દરેક પોઈન્ટ પર કેટલો ખતરો છે અને ત્યાં કયા સ્તરની સુરક્ષા જરૂરી છે. રિયાસી બસ હુમલા કેસમાં જમ્મુ અને કાશ્મીર પોલીસે મંગળવારે 20 શંકાસ્પદ લોકોની અટકાયત કરી અને તેમની પૂછપરછ કરી.
એવી આશંકા છે કે આતંકવાદીઓને મદદ કરવા માટે આ હુમલામાં કોઈ સ્થાનિક વ્યક્તિ પણ સામેલ હતો, જે આતંકવાદીઓને પાછળના હાથે મદદ કરી રહ્યો હતો. આ મામલામાં જમ્મુ-કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફના સંયુક્ત જવાનોની 11 ટીમ જંગલો અને પહાડોમાં ફરાર આતંકવાદીઓને શોધી રહી છે. આ માટે હેલિકોપ્ટર, ડ્રોન અને સ્નિફર ડોગની પણ મદદ લેવામાં આવી રહી છે.