વિકસિત ભારતને અદાણી ગ્રુપે આપી નવી ગતિ: PM મોદીએ ગંગા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ

વિકસિત ભારતને અદાણી ગ્રુપે આપી નવી ગતિ: PM મોદીએ ગંગા એક્સપ્રેસવેનું કર્યું લોકાર્પણ
સમય અને લોજિસ્ટિક્સ ખર્ચમાં બચત સાથે થશે રોજગારી સર્જન

લખનૌ : ભારતની ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષમતાના નવા અધ્યાયનો પ્રારંભ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એશિયાના સૌથી મોટા ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ્સમાંના એક – ‘ગંગા એક્સપ્રેસવે’નું ગૌરવપૂર્ણ લોકાર્પણ આજે કર્યું છે. માત્ર 3.5 વર્ષના રેકોર્ડ સમયમાં તૈયાર થયેલો આ ‘સુપર હાઈવે’ માત્ર રસ્તો નથી, પરંતુ પૂર્વી ઉત્તર પ્રદેશનું ભાગ્ય બદલનારી એક આર્થિક જીવનરેખા છે.
ગતિશક્તિનો નવો પર્યાય ગંગા એક્સપ્રેસવે આધુનિક ભારતનું એન્જિનિયરિંગ માર્વેલ છે. આ એક્સપ્રેસવે મેરઠથી પ્રયાગરાજ વચ્ચેનું 11 કલાકની મુસાફરીનું અંતર ઘટાડીને માત્ર 6 કલાક કરી નાખશે. પરિણામે હવે પશ્ચિમની સમૃદ્ધિ અને પૂર્વની ક્ષમતા વચ્ચેનું અંતર પલક ઝપકતા જ કપાઈ જશે.
અદાણી એન્ટરપ્રાઇઝિસની રસ્તા બનાવતી કંપની અદાણી રોડ ટ્રાન્સપોર્ટ લિમિટેડ (ARTL) એ આ પ્રોજેક્ટમાં 80% (464 કિમી) હિસ્સાનું નિર્માણ કરીને ખાનગી ક્ષેત્રની મજબૂત ક્ષમતાનો પરિચય આપ્યો છે. 12,000 થી વધુ કર્મયોગીઓની મહેનતનું પરિણામ આજે વિકાસના આ મજબૂત માર્ગ પર દેખાઈ રહ્યું છે.
દેશનો આ એવો પ્રથમ કોરિડોર છે જ્યાં AI-સક્ષમ કેમેરા સિસ્ટમ ચોવીસ કલાક તૈનાત રહેશે, જે અકસ્માત જેવી ઘટનાઓની અગાઉથી જાણ કરી મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. એટલે કે ‘આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ’નો સુરક્ષાકવચ તરીકે ઉપયોગમાં કરવામાં આવ્યો છે.
આ એક્સપ્રેસ વેની વધુ એક ખાસિયત એ છે કે, શાહજહાંપુર ખાતે નિર્મિત 3.5 કિમીની એરસ્ટ્રીપ ભારતીય વાયુસેનાના ફાઈટર જેટ્સ માટે ‘ઈમરજન્સી લેન્ડિંગ’ની સુવિધા પૂરી પાડશે, જે ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવશે.
ગંગા એક્સપ્રેસવે માત્ર વાહનો દોડાવવા માટે નથી, પણ રોજગારી અને રોકાણના નવા દ્રાર ખોલવા માટે છે. યુપી સરકારના અંદાજ મુજબ: આગામી 10 વર્ષમાં તેનાથી 3 લાખ નવી નોકરીઓનું સર્જન થશે અને રાજ્યના જીડીપીમાં રૂ. 1 લાખ કરોડનો ધરખમ ઉમેરો થશે. એટલું જ નહીં, લોજિસ્ટિક્સ ખર્ચમાં વાર્ષિક રૂ. 25,000-30,000 કરોડની જંગી બચત થશે.
આ એક્સપ્રેસવે ઔદ્યોગિક અને આધ્યાત્મિક વિકાસના રાજમાર્ગ સમાન છે. તે 12 જિલ્લાઓના 519 ગામડાઓને સાંકળે જેનાથી 11 અત્યાધુનિક ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર હેઠળના ઉદ્યોગોને વેગ મળશે, તો બીજી તરફ પ્રયાગરાજ અને વારાણસી જેવા પવિત્ર ધામો સુધી પહોંચવું સરળ બનતા ‘સ્પિરિચ્યુઅલ ટુરિઝમ’ના નવા દ્વાર પણ ખુલશે.
ગંગા એક્સપ્રેસવે એ ‘નવા ભારત’ની ગતિ અને શક્તિનું જીવંત ઉદાહરણ છે. આ પ્રોજેક્ટ સાબિત કરે છે કે જ્યારે દ્રઢ ઈચ્છાશક્તિ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય થાય, ત્યારે વિકાસની ગંગા માત્ર વહેતી નથી, પણ પૂરપાટ ઝડપે દોડે છે.



