દેશના રાષ્ટ્રિય પર્વ ૭૬માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન

દેશના રાષ્ટ્રિય પર્વ ૭૬માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન
દેશના રાષ્ટ્રિય પર્વ ૭૬માં ગણતંત્રદિન નિમિત્તે રાજીવ ગાંધી ભવન ખાતે ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત મોટી સંખ્યામાં કાર્યકરો – આગેવાનોને શુભેચ્છા સાથે સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દેશમાં બંધારણ લાગુ થયાના ૭૫ વર્ષ પૂર્ણ થયાં છે. સંપૂર્ણ બહુમતિ હોવા છતાં કોંગ્રેસ પક્ષ દ્વારા બંધારણ ડ્રાફ્ટીંગ સમિતિના ચેરમેન તરીકે ડૉ. બાબાસાહેબ આંબેડકરજીને જવાબદારી આપવામાં આવી હતી. ડૉ. બાબાસાહેબ આંબેડકરનું માનવું હતું કે, “જો સત્તામાં બેઠેલા લોકો ખોટા હશે તો ગમે તેટલુ સારૂ બંધારણ પણ કામ લાગશે નહી.” દેશના બંધારણ અને સરકારના માલીક પ્રજા છે પરંતુ આજે પ્રજા માલીક હોય તેવું દેખાતુ નથી. હાલના શાસકો બંધારણમાં છેડછાડ કરી રહ્યાં છે જે દેશ માટે ચિંતાનો વિષય છે. ૨૫ નવેમ્બર ૧૯૫૦ના રોજ સંસદમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના ઐતિહાસીક પ્રવચનમાં તેમણે કોંગ્રેસ પક્ષના શિસ્તને બિરદાવી હતી. દેશનું બંધારણ જે કાયદાનું અમલીકરણ કરાવે છે તેમાં આર્ટીકલ ૧૪ પ્રમાણે કાયદો તમામ માટે એકસરખો છે. પરંતુ સાંપ્રત સમયમાં કાયદો સત્તાપક્ષ અને વિરોધપક્ષ માટે જુદો જુદો છે, જે ચિંતાનો વિષય છે. પુજ્ય મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં દેશમાં આઝાદી માટેનું જનઆંદોલન શરૂ કરવામાં આવ્યું હતું. આઝાદી બાદ ભારત દેશને દુનિયાનું સૌથી સર્વશ્રેષ્ઠ બંધારણ આપવા માટે ૨૮૪ જેટલા તજજ્ઞોએ રાતદિવસ મહેનત કરીને વિવિધતામાં એકતા, સર્વોદયની વિભાવનાને સાર્થક કરતું બંધારણ દેશને આપ્યું. ૨૯ ભાષા, ૧૬૦૦ થી વધુ બોલીઓ, ધર્મ-જ્ઞાતિ-જાતિ-રંગ અને પરંપરામાં વિવિધતા એ ભારત દેશની મુડી છે. સર્વ ભારતીયોને જોડતા બંધારણને લાગુ કરવાની તારીખ આઝાદી મળતા પહેલા ૧૯૨૯માં કોંગ્રેસની મહાસભામાં સ્વતંત્ર સેનાનીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ૧૯૪૮માં આઝાદી મળ્યા બાદ ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦માં આ બંધારણ લાગુ કરાયુ હતું, જે આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આપણી સાથે આઝાદ થયેલા પાકિસ્તાનમાં ઘણી વખત સૈન્ય શાસન લાગુ થઈ જાય છે. પરંતુ ભારતમાં સર્વશ્રેષ્ઠ બંધારણ-સંવિધાનને કારણે ભારતનું લોકતંત્ર ટકી રહ્યું છે.યુવાનો, વેપારી, ખેડૂત સહિતના લોકો આજે આઝાદ નથી, છેલ્લા ઘણા સમયથી સત્તામાં બેઠેલાં લોકોની નિતિ – પધ્ધતિ જન વિરોધી છે. પ્રજાસત્તાક એટલે પ્રજાના હાથમાં રોજગાર, નોકરીની તકો, આરોગ્ય સુવિધા, શિક્ષણની વ્યવસ્થા વગેરે જેવી પાયાની સુવિધાઓ મળતી હોય તેમ જણાતુ નથી.
રાજીવ ગાંધી ભવન ખાતે ગણતંત્ર દિન નિમિત્તે યોજાયેલ ધ્વજવંદનના રાજ્યસભા સાંસદ ડૉ. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી. સેક્રેટરીશ્રી ઉષા નાયડુ, શ્રી ભુપેન્દ્ર મારાવી, ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષ પરમાર, અમદાવાદ શહેર પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલ, અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના નેતાશ્રી શહેઝાદખાન પઠાણ, સહિત મોટી સંખ્યામાં પ્રદેશ-શહેરના પદાધિકારીઓ, દરેક ફ્રન્ટલ સેલના આગેવાનો કાર્યકરો જોડાયા હતા અને ધ્વજવંદનના કાર્યક્રમમાં સેવાદળના કાર્યકારી પ્રગતિ આહિર અને અધ્યક્ષશ્રી કિરણ પ્રજાપતિએ કાર્યકર્તાઓ-આગેવાનોને રાષ્ટ્રધ્વજને સલામી અપાવી હતી.