રાંદેર અંજુમન ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ ઉત્સાહભેર ઉજવાયો: મહાનુભાવોનું સન્માન કરાયું

રાંદેર અંજુમન ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં ‘કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ’ ઉત્સાહભેર ઉજવાયો: મહાનુભાવોનું સન્માન કરાયું
સુરત : સુરત શહેરના ઐતિહાસિક રાંદેર વિસ્તારમાં આવેલ ‘રાંદેર અંજુમને ઇસ્લામ ટ્રસ્ટ’ સંચાલિત રાંદેર અંજુમન પ્રાયમરી સ્કૂલ તથા એમ. મિર્ઝા હાઈસ્કૂલમાં ‘કન્યા કેળવણી મહોત્સવ’ અને ‘શાળા પ્રવેશોત્સવ’ અંતર્ગત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, જેમનું બુકે અને ટ્રોફી આપીને ભાવભેર બહુમાન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે સુરત લઘુમતી મોરચા (BJP) ના પ્રમુખ ઇમરાન મેમણ, માનવ સેવા છાંયડો સંસ્થાના અમીત શાહ, કવિ નર્મદ શાળાના આચાર્ય તરલકુમાર પટેલ, ઓરાવાલા ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જુનેદ ઓરાવાલા, જાણીતા સમાજસેવક અને બિલ્ડર ઇકબાલ મિર્ઝા તેમજ નિવૃત શિક્ષક નઝીર સાહેબ અને યુનુસભાઈ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના પ્રમુખ સલીમ મિસ્ત્રી, સેક્રેટરી મુસ્તફા શેખ (વાય.વાય.), જોઈન્ટ સેક્રેટરી નિસાર સૈયદ તથા કમિટી સભ્યો અફસર ખાન, અબ્બાસ શેખ, આસિફ સૈયદ, જાવિદ સફેદા અને મોહંમદ શફી ઘસીટ હાજર રહ્યા હતા. આ ઉપરાંત એજ્યુકેશન કમિટીના સભ્યો પ્રો. મુસ્તુફા મલેક સર, મુસ્તાક કાઝી સર અને હાઈસ્કૂલના આચાર્ય મહેશ શાહ સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત બાળવાટિકા અને ધોરણ-૯ માં પ્રવેશ મેળવનારા નવપ્રવેશી વિદ્યાર્થીઓને દાતાશ્રીઓના હસ્તે શૈક્ષણિક કીટ, પાણીની બોટલ અને ચોકલેટ આપીને આવકારવામાં આવ્યા હતા. આ ઉપરાંત સંસ્થા તરફથી પણ બાળકોને શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી હતી. શિક્ષણ કાર્યને વેગ આપવા માટે જાણીતા દાતા ઇકબાલ મિર્ઝા અને જુનેદ ઓરાવાલા તરફથી સંસ્થાને આર્થિક મદદ પણ પૂરી પાડવામાં આવી હતી.
શૈક્ષણિક સિદ્ધિઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે, ગત વર્ષે શાળામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનારા વિદ્યાર્થીઓ તેમજ SSC બોર્ડ પરીક્ષા-૨૦૨૬ માં ઉત્કૃષ્ટ ગુણો સાથે પાસ થયેલા તેજસ્વી વિદ્યાર્થીઓનું ટ્રોફી આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન (એન્કરિંગ) રઘુ આબીદે કર્યું હતું, જ્યારે અંતમાં પ્રાયમરી સ્કૂલના આચાર્ય શાહીદ મલેક દ્વારા ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ‘સૌ ભણે, સૌ આગળ વધે’ ના પ્રેરણાદાયી સંદેશ સાથે આ સુંદર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.



