કામરેજ તાલુકાના ઉંભેળ ગામના ખેડૂત હેમંતભાઈ પટેલ વિદેશમાં કુદરતી પીણું નિરો નિકાસ કરીને ડોલરમાં કમાણી કરશે

કામરેજ તાલુકાના ઉંભેળ ગામના ખેડૂત હેમંતભાઈ પટેલ વિદેશમાં કુદરતી પીણું નિરો નિકાસ કરીને ડોલરમાં કમાણી કરશે
‘ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ’ થકી આઠ વીઘામાં ૩૫૦૦ ખજૂરીનું વાવેતર કર્યું: વર્ષ ૨૦૨૬માં રોજની દોઢ લાખથી વધુની કમાણી કરશે
માત્ર બે વીઘામાં ગાર્ડન લોન અને ક્રિકેટ પીચ લોન (ઘાસ)નું વાવેતર કરી તેના વેચાણ થકી વર્ષે દહાડે રૂા.૮ થી ૧૦ લાખની આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત હેમંતભાઈ પટેલ
મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટથી પણ વધુ અર્નિંગ ખેતીમાં થશે: હેમંતભાઈના પુત્ર જય પટેલ
શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા નીરો ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું
ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ’ થકી પ્રાકૃતિક કૃષિનું રોલમોડલ બનતું ગુજરાત
પ્રકૃતિને ખીલવતી પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ખેડૂતોને સમૃદ્ધિની દિશા મળી છે. કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતાં ભારતવર્ષમાં આજે પ્રાકૃતિક ખેતીએ મિશન મોડમાં વેગ પકડ્યો છે. વાત છે એક એવા ખેડૂતની કે, જેણે પ્રાકૃતિક ખેતી સાથે ફ્યુચરિસ્ટિક ફાર્મિંગને જીવનનું મુખ્ય ધ્યેય માની લીધું છે અને આવનાર પાંચ-દસ વર્ષનું આયોજન કરીને આઠ વીઘામાં ૩૫૦૦ ખજૂરીનું વાવેતર કરીને વર્ષ ૨૦૨૬માં આરોગ્યવર્ધક પીણું નીરોની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનું સપનું સેવ્યું છે. આ ખેડૂત છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેળ ગામના હેમંતભાઈ હસમુખભાઈ પટેલ, જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને ‘ફ્યૂચરિસ્ટીક ફાર્મિંગ’ અપનાવ્યું છે. સાથોસાથ તેઓ માત્ર બે વીઘામાં ગાર્ડન લોન અને ક્રિકેટ પીચ લોન (ઘાસ)નું વાવેતર કરી તેના વેચાણ થકી વર્ષે દહાડે રૂા.૮ થી ૧૦ લાખની આવક મેળવી રહ્યા છે.
ફાર્મિંગ ક્ષેત્રે મોટા પાયે પ્રયોગ કરતા સાહસિક ખેડૂત હેમંતભાઈ પટેલે કહ્યું કે, હું છેલ્લા ૩૫ વર્ષથી ખેતી સાથે સંકળાયેલો છું. ૧૧ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી થકી શેરડી, ઘઉં, ચણા, શાકભાજી, ફ્રુટ જેવા પાકોની મિશ્ર પાક સહજીવન પદ્ધતિ થકી ખેતી કરૂ છું. ઓર્ગેનિક ખેતી સાથે ખેતરના શેઢે ૫૦ નાળીયેરીની બોર્ડર કરી છે અને તેની સાથે ૫૦ સરગવાનું પણ વાવેતર કર્યું છે. આ સાથે ઘણા પ્રકારના શાકભાજી વાવીએ છીએ. જેમાં બ્રોકલી લેટેસ્ટ, કોબીજ, ફુલાવર, પરવળ, ભીંડા, દૂધી, સરગવો, ફણસી, પાલક, કારેલા, મૂળા, ગાજર, ટામેટા, મરચી, હળદર, કંટોલા, ડ્રેગન ફ્રુટ, કેળા, દાડમ, ચીકુ, જામફળ, સીતાફળ, કમરખ, પાઈનેપલ, અંજીર, આંબળા, મોસંબી, સંતરા અને પપૈયા જેવા ફળના ૧૨થી ૧૩ પાકો છે. સાથે ૧૦ વર્ષ પહેલા ખેતરના શેઢે ૧૦ ખજૂરી વાવી હતી. જેમાં છેલ્લા ચાર વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન શરૂ થવાથી માત્ર એક જ સિઝનમાં સારી આવક મેળવી એટલે આવનાર પાંચ-દસ વર્ષનો વિચાર કરીને આઠ વીઘામાં ૩૫૦૦ ખજૂરીના વાવેતર કર્યું છે.
વધુમાં હેમંતભાઈ કહ્યું હતું કે, શિયાળામાં શરીરને સ્વસ્થ રાખવા નીરો એક ઉત્તમ સ્વાસ્થ્યવર્ધક પીણું છે. ૩૫૦૦ ખજૂરીમાંથી વર્ષ ૨૦૨૬માં ઉત્પાદન શરૂ થશે એટલે તેમાંથી રોજનું ત્રણ હજાર લીટર નીરાનો ઉતારો આવશે. નવેમ્બરથી શિયાળો પૂર્ણ થાય ત્યાં સુધી મળે છે. તેનું મૂલ્યવર્ધન કરીને તેનું પ્રોડક્ટ્સ બનાવીને નીરાની વિદેશમાં નિકાસ કરીને ડોલરમાં કમાણી કરવાનો વિચાર કર્યો છે. એટલે તેની અંદાજિત કિંમત ૬૦ રૂપિયા લેખે રોજની એક લાખ એંસી હજારની આવક મળી રહેશે અને આ નીરાનું પ્રોડકશન એક સિઝનમાં ૧૨૦થી ૧૫૦ દિવસ સુધી ચાલતું હોય છે એમ તેમણે ઉમેર્યું હતું.
હેમંતભાઈએ બે વીઘા ખેતરમાં સિલેક્શન વન અને અમેરિકન બ્લ્યુ વેરાયટીની લોનનું ગાર્ડનની લોનનું વાવેતર કર્યું છે એમ જણાવી હેમંતભાઈએ ઉમેર્યું કે, સિલેક્શન વન વેરાયટી એ ક્રિકેટ ગ્રાઉન્ડ માટે તેમજ અમેરિકન બ્લ્યુ એ ગાર્ડનિંગ માટે સુરત સહિત નવસારી, બારડોલી, ચીખલી, વલસાડ સહિતના વિસ્તારોની નર્સરીમાં સપ્લાય કરીએ છીએ. જેમાંથી વાર્ષિક ૮થી ૧૦ લાખની આવક માત્ર બે વીઘા માંથી મળે છે. આ સાથે શેરડીનું વાવતેર પણ કર્યું હતું, જેમાં ગત વર્ષે માર્ચ મહિનામાં મલ્ચીંગ કરવાથી ઓછા પાણીમાં સારી ગુણવત્તાની શેરડી ઉત્પાદિત કરી શકાય છે. મલ્ચીંગ કરવાથી જમીનમાં ભેજનું પ્રમાણ પણ જળવાઈ રહે છે. પ્રાકૃતિક ખેતીમાં મિશ્ર પાક સહજીવનની પદ્ધતિ સમજાવતા હેમંતભાઈ કહે છે કે, જમીનમાં એક પાકને જોઈતા પોષક તત્વો ઘણીવાર બીજા પાક દ્વારા પણ મળતા હોય છે ત્યારે એ બંને પાકોને જો સાથે જ વાવી અને તેનો ઉછેર કરવામાં આવે તો બંનેને એકબીજાને જોઈતા પૂરક પોષક તત્વો મળી રહે છે. આ માટે કોઈપણ પ્રકારના અન્ય ખાતરની જરૂર પડતી નથી, માત્ર છાણનું ખાતર પૂરતું છે. રાસાયણિક ખેતી સામે પ્રાકૃતિક ખેતીમાં ઘણા બદલાવ આવતા જોવા મળ્યા છે. જેમાં જમીનની ફળદ્રુપતા ખૂબ વધારે જોવા મળી તેમજ જમીન ભરભરી થવા લાગી છે. જમીનમાં અળસિયાનું પ્રમાણ પણ વધવા લાગ્યું છે. જમીન વરસાદી પાણી સંગ્રહ કરી લે છે. જમીનની નિતારશક્તિ વધવાથી ભેજ સંગ્રહશક્તિ પણ સુધરી પરિણામે પિયતની સંખ્યા પણ ઘટી જેથી ઉત્પાદનમાં પણ ઘણો સુધારો જોવા મળ્યો છે એમ હેમંતભાઈએ ઉમેર્યું હતું. હેમંતભાઈના પુત્ર જયભાઈએ કહ્યું હતું કે, પિતા સાથે હું પણ આધુનિક ખેતીમાં મદદરૂપ થઈ રહ્યો છું. અન્ય વ્યવસાયથી પણ ખેતીમાં વિશેષ કમાણી છે એવું મારૂ માનવું છે. મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક માર્કેટ, રિયલ એસ્ટેટથી પણ વધુ અર્નિંગ ખેતીમાં થશે. લાંબા ગાળાના રોકાણમાં મ્યુચ્યુઅલ ફંડમાં વાર્ષિક છથી આઠ ટકાની આવક મળે છે. સ્ટોક માર્કેટમાં પણ લાંબા ગાળાનું રોકાણ કરીએ તો દસથી બાર ટકા કે તેનાથી વધુ ૧૫થી ૧૮ ટકા સુધીનો ગ્રોથ જોવા મળે છે. આ સાથે રિયલ એસ્ટેટમાં રોકાણ કરીએ તો વાર્ષિક ત્રીસથી ચાલીસ ટકા જેટલી વૃદ્ધિ થાય છે એ પણ સારુ માર્કેટ હોય તો, જ્યારે આ બધા જ વ્યવસાયથી પરે થઈને ખેતીમાં સો ટકાથી પણ વધુ અર્નિંગ થઈ રહી છે એમ હું માની રહ્યો છું. ઉચ્ચગુણવત્તાયુક્ત ઓર્ગેનિક ખેત પેદાશની બહું જ માંગ છે, એ જોતાં ડોલરની કમાણી ગણીએ એટલે એક વર્ષમાં જ રોકાણની અનેક ગણી આવક મળી રહે છે.
પ્રાકૃતિક ખેતી એ પ્રકૃતિ તરફ પાછા વળવાનો એક અનોખો માર્ગ છે, એટલે જ વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિ સાથે દેશના ૧ કરોડ ખેડૂતોને જોડવા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન શરૂ કર્યું છે. જેમાં ગુજરાતના કૃષિ મોડેલને રોલમોડેલ તરીકે નિર્દેશિત કરવામાં આવ્યું છે. દેશમાં પ્રાકૃતિક કૃષિના વ્યાપને વધારવાના તેમના આ સંકલ્પની સિદ્ધિ માટે રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ઉપાડ્યું છે. હેમંતભાઈ જેવા ખેડૂતો પ્રાકૃતિક ખેતીને સમૃદ્ધ કરવામાં અનન્ય યોગદાન આપી રહ્યા છે.