અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી.

અદાણી ફાઉન્ડેશન-હજીરા દ્વારા વિશ્વપર્યાવરણ દિને પર્યાવરણ સંરક્ષણ અંગેની વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી
હજીરા, 5 જૂન 2025: અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા પર્યાવરણીય અને જાગૃતિમુલક પ્રવૃત્તિઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી હતી. પર્યાવરણ સંરક્ષણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવા હજીરા કાંઠા વિસ્તાર તેમજ ઉમરપાડા તાલુકામાં વૃક્ષારોપણ, બીચ ક્લીનીંગ, તેમજ પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત જેવી વિવિધ પ્રવૃત્તિઓ થકી લોકજાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
હજીરા કાંઠા વિસ્તારની બહેનો અને બાળકો તેમજ ઉમરપાડાની આદિવાસી બહેનો સાથે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. હરિયાળા વર્તમાન અને ભવિષ્યના ઉદ્દેશથી 3 જૂનના રોજ હઝીરા પોર્ટ પર AHPL સ્ટાફ સાથે વૃક્ષારોપણ અભિયાન યોજાયું હતું.
“હરિત પર્યાવરણની એક પહેલ” હેઠળ ઝુમાવાડી ખાતે ફાઉન્ડેશનની ટીમ દ્વારા મહિલા મંડળ, સ્થાનિક ખેડૂતો અને પંચાયતના પ્રતિનિધિઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. જેમાં પ્રત્યેક વ્યક્તિએ પ્રકૃતિની સંભાળની પ્રતિજ્ઞા લીધી હતી. આ વિસ્તારમાં 2026 સુધીમાં 5,000 વૃક્ષો વાવવાના લક્ષ્યાંક તરફનું આ અભિયાન પ્રથમ પગથીયું છે.
#BeatPlasticPollution થિમ અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ સામે લડત ચલાવવા 5મી જૂને નવચેતન સ્કૂલ ખાતે પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. જેમાં 4R પદ્ધતિ (Reduce, Reuse, Recycle, Refuse) અંગે માહિતી આપી વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકના સંયમી ઉપયોગ માટે પ્રતિજ્ઞા લેવડાવાઈ.
ઝુમાવાડી, ઘાણાવડ અને આંધળી કુવા ગામોની મહિલાઓએ દેવઘાટ ઇકો ટુરિઝમ ખાતે પ્લાસ્ટિક પ્રદૂષણ સામે જાગૃતિ લાવવા સફાઈ અભિયાનમાં ભાગ લીધો. તેમણે પ્લાસ્ટિક બોટલ, રેપર્સ અને અન્ય કચરો ભેગો કરી સાઇટને સ્વચ્છ રાખવાની અપીલ કરી.
ડિસેમ્બર 2024માં લવછા ગામમાં 15 એકર જમીન પર 1,000 વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં રેઇનટ્રી, પેલ્ટો, ઉમરું, સિરસ, વટવૃક્ષ, કરંજ અને અર્જુન જેવી લાંબો સમય જીવી શકે તેવા વૃક્ષોની પસંદગી કરાઈ હતી. આ વિસ્તારને કોમ્યુનિટી ફોરેસ્ટ તરીકે વિકસિત કરવા 8થી 10 ફૂટ સુધી ઉછરેલા આ ઘટાદાર વૃક્ષોની માવજત આગામી ત્રણ વર્ષ સુધી અદાણી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવશે.
અદાણી ફાઉન્ડેશન હજીરાએ વર્ષ 2026 સુધીમાં ઉમરપાડા અને હજીરા વિસ્તારમાં કુલ 10000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરવાનો લક્ષ્યાંક રાખ્યું છે.