સરથાણા નેચરપાર્કના હેડ કલાર્ક આલજીભાઈ ખાખડીયા ૩૬ વર્ષની સેવા બાદ નિવૃત્ત

સરથાણા નેચરપાર્કના હેડ કલાર્ક આલજીભાઈ ખાખડીયા ૩૬ વર્ષની સેવા બાદ નિવૃત્ત
મોર દત્તક લઈને કરી પ્રેરણાદાયી પહેલ
સુરત : સુરત મહાનગરપાલિકાના સરથાણા નેચરપાર્ક વિભાગમાં હેડ કલાર્ક તરીકે લાંબી અને નિષ્ઠાવાન સેવાઓ આપીને ફરજ બજાવતા શ્રી આલજીભાઈ બી. ખાખડીયા પોતાની ૩૬ વર્ષની દીર્ઘ અને સફળ ફરજ પૂર્ણ કરી તા. ૩૧/૦૭/૨૦૨૬ ના રોજ વય નિવૃત્ત થયા છે. આ અવસરે સરથાણા નેચરપાર્ક ખાતા દ્વારા તેમનો ઉષ્માભેર વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો.
શાલ અને પુષ્પગુચ્છથી સન્માન : વિદાય સમારંભ દરમિયાન ખાતાના અધિકારીઓ અને કર્મચારી મિત્રો દ્વારા શ્રી આલજીભાઈ બી. ખાખડીયાનું શાલ અને પુષ્પગુચ્છ અર્પણ કરી ભવ્ય સ્વાગત તથા સન્માન કરવામાં આવ્યું હતું. ૩૬ વર્ષના સેવાકાળ દરમિયાન તેમની સરાહનીય કામગીરીને સહુએ યાદ કરી હતી.
સ્વરુચિ ભોજન અને સ્નેહમિલન: વિદાય સમારંભના અંતે તમામ કર્મચારી મિત્રો તેમજ તેમના પરિવારજનો એકત્રિત થયા હતા અને સૌએ સાથે મળીને સ્વરુચિ ભોજનનો આનંદ માણ્યો હતો. આ ભાવનાત્મક માહોલમાં સહુએ તેમને ભવિષ્યના જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
નિવૃત્તિ અવસરે પ્રેરણાદાયી ‘એનિમલ એડોપ્શન’ યોજનામાં સહભાગી: નિવૃત્તિને માત્ર એક ઔપચારિકતા ન રાખતા શ્રી આલજીભાઈએ તેને એક યાદગાર અને પ્રેરણાદાયી અવસર બનાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના ઠરાવ મુજબ, તેઓ ‘એનિમલ એડોપ્શન’ (પ્રાણી દત્તક) યોજના અંતર્ગત ઈન્ડિયન પિકોક (ભારતીય મોર) – ૦૨ ને દત્તક લીધા છે. તેઓએ તા. ૦૧/૦૮/૨૦૨૬ થી તા. ૩૧/૦૭/૨૦૨૭ સુધીના સમયગાળા માટે રૂા. ૧૦,૦૦૦/- નો ફાળો આપીને આ લોકઉપયોગી તથા વન્યજીવ સંરક્ષણ યોજનામાં સહભાગી બનવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.


