ગુજરાત

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલબેન બચકાનીવાલાએ ‘જૂની સિવિલ હોસ્પિટલ’ ખાતે દર્દીનારાયણની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરી

પરમાર્થ ફાઉન્ડેશનના કોમલબેન બચકાનીવાલાએ ‘જૂની સિવિલ હોસ્પિટલ’ ખાતે દર્દીનારાયણની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરી
શહેરમાં નિઃસ્વાર્થ સેવા માટે જાણીતા પરમાર્થ ફાઉન્ડેશનના અગ્રણી કોમલબેન બચકાનીવાલા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મદિવસ નિમિત્તે શહેરની મધ્યમાં કાર્યરત અને હજારો ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન ‘જૂની સિવિલ હોસ્પિટલ’ ખાતે સેવાના પુષ્પો અર્પણ કરી અનોખી ઉજવણી કરી હતી.
જન્મદિવસ નિમિત્તે હોસ્પિટલમાં પીડિયાટ્રિક વોર્ડમાં સારવાર લઈ રહેલા બાળકોને રમકડાં, હોસ્પિટલ સહિત પરિસરને મંદિરની જેમ સ્વચ્છ રાખતા મહિલા સફાઈકર્મીઓને સાડી અર્પણ કરી તેમના શ્રમનું સન્માન કરાયું હતું. હોસ્પિટલમાં દાખલ તમામ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવાની સાથે જરૂરિયાતમંદ મહિલા દર્દીઓને સાડીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
જૂની સિવિલના સુપ્રિટેન્ડન્ટ ડો.દ્દિસિતા શ્રોફે જણાવ્યું હતું કે, ટેક્નોલોજીના યુગમાં આજે પણ આપણે અત્યાધુનિક સારવાર પૂરી પાડવામાં પાછળ નથી. દરરોજ ૧૮ થી ૨૦ આંખના મોતીયાના ઓપરેશન દ્વારા અમે અંધકારને ઉલેચીને પ્રકાશ પાથરવાનું સેવાકાર્ય થઈ રહ્યું છે. જ્યારે દરરોજ ૩૦૦થી વધુ દર્દીઓ વિવિધ OPDમાં આધુનિક તબીબી સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલાએ કહ્યું હતું કે, શહેરના હૃદય સમાન આ જૂની સિવિલ હોસ્પિટલ સામાન્ય જનતા માટે આશાનું કિરણ છે અને આવા સેવાભાવી લોકોના સહયોગથી દર્દીઓનું મનોબળ વધે છે. કોમલબેન બચકાનીવાલા દર વર્ષે પોતાના જન્મદિવસ તેમજ દરેક નાના-મોટા તહેવારોની ઉજવણી હોસ્પિટલના દર્દીઓ સાથે મળીને કરે છે. દર્દીઓ સાથે ઉજવીને સાચા અર્થમાં ‘પરમાર્થ’નો હેતુ સિદ્ધ કરે છે. તેમની આ સંવેદના સમાજ માટે દીવાદાંડી સમાન છે.
આ પ્રસંગે જૂની સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.દ્દિસિતા શ્રોફ, આર.એમ.ઓ. ડો.ઓમકાર ચૌધરી તથા નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા સહિત તબીબો, નર્સિંગ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button