હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ, ભાજપની બેઠક બિનહરીફ

હાઈવોલ્ટેજ ડ્રામા બાદ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ, ભાજપની બેઠક બિનહરીફ
શિનોર તાલુકા પંચાયતમાં શિનોર ની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ હાઈ વોલ્ટેજ ડ્રામા પછી મોડી રાત્રે શૌચાલય ન હોવાના કારણે રદ થતાં, ભાજપને એક બેઠક બિનહરીફ મળેલ છે.
મામલતદાર કચેરી શિનોર મુકામે તારીખ 13 એપ્રિલ 2026 ના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી 11 કલાકે શરૂ થઈ હતી, જેમાં શિનોર 1 બેઠક ઉપર ભાજપના ઉમેદવાર પ્રમોદ પૂનમ વસાવા દ્વારા કોંગ્રેસના ઉમેદવાર રમેશ બચુ વસાવા શૌચાલય ધરાવતા ના હોવાની લેખિત રજૂઆત કરાતાં , તંત્ર દ્વારા કરાયેલા પ્રાથમિક તપાસના પંચક્યાસમાં શૌચાલય હોવાની માહિતી મળી હતી, જેના કારણે 5:00 કલાકે મીડિયા દ્વારા એ.આ.રો.ને પૂછતાં જાણવા મળ્યું હતું કે શિનોર 1 ના બંને ઉમેદવારોના ફોર્મ મંજૂર થયા છે. પરંતુ ત્યારબાદ સાંજના 6 કલાક પછી કરજણ થી ધારાસભ્ય અક્ષય પટેલ તથા તેમની સાથે તેમના પી.એ. કહેવાતા રણાપુરના સરપંચ અને ભાજપા ના હોદ્દેદારો આવી પહોંચતા ઉંચા અવાજે ભારપૂર્વક રજૂઆત કરાતાં મોડી રાત્રે રહેણાંક ના સરનામાનો પુનઃ સ્થળ પંચક્યાસ કરાવ્યા પછી, રાત્રિના રિટર્નિંગ ઓફિસર અને તાજેતરમાં જ ખેરગામ જીલ્લો નવસારી થી બદલી થઈને આવેલા ટી. ડી.ઓ. તરીકે નિમાયેલા મહેશભાઈ પરસોતમભાઈ વિરાણી દ્વારા રહેણાંક ના સ્થળે શૌચાલયની સુવિધા ના હોવાના કારણે કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યુ હતું, ભાજપના ઉમેદવાર પ્રમોદ વસાવા બિનહરીફ વરણી પામ્યા, તેની લોકોને સવારે જાણ થઈ હતી.
વલસાડના ઉમરગામના મામલતદાર દલપત બ્રાહ્મણકાચ્છે અપક્ષ ઉમેદવારનું ફોર્મ રદ કરવા બાબતે દબાણના કારણે ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી હતી, તેના સમાચાર શિનોર તાલુકામાં આવતા દબાણના કારણે આવું કંઈક બન્યું હોવાની શંકા જાગેલ છે. જોકે આ રીતે ફોર્મ રદ થતાં મતદારોમાં ભાજપાની ઈમેજને ધક્કો લાગે છે.



