ગૌતમ અદાણીની ઐતિહાસિક પહેલ: ‘વંદે ભારતમ’ યોજના ગ્રામીણ સંશોધકોને આપશે વૈશ્વિક મંચ

ગૌતમ અદાણીની ઐતિહાસિક પહેલ: ‘વંદે ભારતમ’ યોજના ગ્રામીણ સંશોધકોને આપશે વૈશ્વિક મંચ
અમદાવાદ: ભારત આજે વિશ્વની સૌથી મોટી સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમ ધરાવે છે, પરંતુ ૮૦%થી વધુ સફળ સ્ટાર્ટ-અપ્સ માત્ર પાંચ મોટા શહેરો પૂરતા સીમિત છે. નાના શહેરો અને ગામડાઓની અદભૂત પ્રતિભાઓ યોગ્ય માર્ગદર્શન અને ભંડોળના અભાવે પાછળ રહી જાય છે. આ અંતરને પૂરવા માટે અદાણી સમૂહના ચેરમેન શ્રી ગૌતમ અદાણીએ તેમના ૬૪મા જન્મદિને (૨૪ જૂન) ‘વંદે ભારતમ’ નામની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો પ્રારંભ કર્યો છે.
પોતાની સફરને યાદ કરતા ગૌતમ અદાણીએ જણાવ્યું કે, “હું આજે જે કંઈ પણ છું, તે આ ભારતની માટીએ મને આપ્યું છે. જો હું આ કરી શકું છું, તો દેશનો કોઈ પણ નાગરિક કરી શકે છે.”
યોજનાના મુખ્ય પાસાઓ:
વ્યાપ: દેશના તમામ ૩૬ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોના ૮૦૦થી વધુ જિલ્લાઓમાંથી છુપાયેલી પ્રતિભાઓની શોધ.
ક્ષેત્રો: ટેકનોલોજી ઉપરાંત કૃષિ, પરંપરાગત હસ્તકલા અને ટકાઉ વિકાસ જેવા સ્થાનિક પ્રોજેક્ટ્સનો સમાવેશ.
વિશેષ પ્રોત્સાહન: મહિલાઓ, આદિવાસીઓ, ગ્રામીણ સંશોધકો અને દિવ્યાંગ ઉદ્યોગસાહસિકોને અગ્રતા.
આ ઝુંબેશની ખાસિયત એ છે કે આમાં જોડાવા માટે કોઈ રજિસ્ટર્ડ કંપની કે મોટી શૈક્ષણિક લાયકાતની જરૂર નથી. માત્ર એક સચોટ વિચાર કે પ્રોટોટાઇપ ધરાવતી વ્યક્તિ પણ vandebharatam.org પર સીધી અરજી કરી શકે છે.
રાજ્ય સ્તરે મૂલ્યાંકન બાદ ૭૫ શ્રેષ્ઠ પ્રતિભાઓની પસંદગી કરાશે, જેમને અમદાવાદ ખાતે વિશેષ તાલીમ, ઇન્ક્યુબેશન સપોર્ટ અને ફંડિંગ માટે ઉદ્યોગજગતના નિષ્ણાતો સાથે જોડાવાની તક મળશે. આગામી સ્વાતંત્ર્ય પર્વની આસપાસ આની ‘ગ્રાન્ડ ફિનાલે’ યોજાશે, જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કારથી સન્માનિત કરાશે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને હાંસલ કરવા અને ‘લોકલ થી ગ્લોબલ’નું સપનું સાકાર કરવામાં આ પહેલ સીમાચિહ્નરૂપ સાબિત થશે.



