કર્ણાવતી મહાનગરમા આશરે 15 લાખ પરિવારોને રામ લલ્લાનું અક્ષત આમંત્રણ

- કર્ણાવતી મહાનગરમા આશરે 15 લાખ પરિવારોને રામ લલ્લાનું અક્ષત આમંત્રણ
22 જાન્યુઆરીએ ભગવાન રામલલ્લાનાની ભવ્ય નિજ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, જેને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે, કારણકે વર્ષોના સંઘર્ષ બાદ આધ્યાત્મ અને સામાજિક ચેતનાના કેન્દ્ર સમા અયોધ્યામાં નવનિર્મિત ભગવાન રામ લલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના શુભ અવસર પર દેશભરના રામભક્તો સુધી આમંત્રણ પહોચાડવા માટે આજે 1 જાન્યુઆરી થી 15 મી જાન્યુઆરી સુધી ” અક્ષત મહા અભિયાન ” દેશભરમાં શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા મોકલવામાં આવેલ વિશેષ પૂજિત અક્ષત-હળદર અને આમંત્રણની સાથે સાથે લોકોને ઘરે ઘરે જઈને સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે કે, પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમના દિવસે, તેમના નજીકના મંદિરમાં અનુષ્ઠાન,રામધૂન અને પૂજન-અર્ચન કરીને આ એતિહાસિક પળના સાક્ષી બનીએ.
આ અભિયાનના ભાગરૂપે આજે કર્ણાવતી મહાનગરના વાસણા સ્થિત “સહજ સેપિયન્સ” સોસાયટી થી “અક્ષત આમંત્રણ મહા અભિયાન” નો વિહિપના ક્ષેત્રિયમંત્રી મા.શ્રી અશોકભાઈ રાવલે પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાન હેઠળ વિહિપ દ્વારા કર્ણાવતીના કુલ 68 પ્રખંડોમા ચલાવશે, જેનાં માટે વિહિપ અને સંઘના દરેક પ્રખંડે આશરે 300 કાર્યકરો જુદી જુદી ટીમ બનાવીને સોસાયટી અને સેવા વસ્તીઓમા જશે અને કુલ 20,400 કાર્યકરો આશરે 15 લાખ પરિવારોનો સંપર્ક કરીને તેમને ” અક્ષત આમંત્રણ ” આપશે. આજે આ કાર્યક્રમમા ક્ષેત્રિય સહમંત્રી મા. શ્રી અશ્વિનભાઈ પટેલ અને કર્ણાવતી મહાનગરના મહામંત્રી મા.શ્રી શશિકાંતભાઈ પટેલ સહિત પ્રાંત પ્રવકતા હિતેન્દ્રસિંહ રાજપુત અને માતૃ શક્તિ તેમજ દુર્ગવાહિનીની બહેનો તેમજ સ્થાનિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.