૧૨મીએ બારડોલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂત સંમેલન અને ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ યોજાશે

‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝનની ઉજવણીના ભાગરૂપે
૧૨મીએ બારડોલી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ખેડૂત સંમેલન અને ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ યોજાશે
જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમના સુચારૂ આયોજન અર્થે બેઠક મળી
‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ વિઝનની ઉજવણી અનુસંધાને સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આગામી તા.૧૨મી જૂનના રોજ સવારે ૧૦.૩૦ વાગે બારડોલી તાલુકાના સાંકરી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને એક દિવસીય ખેડૂત સંમેલન અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો દ્વારા આયોજિત ‘વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન’નો સમાપન સમારોહ યોજાશે. આ પ્રસંગે કૃષિમંત્રી, સાંસદ સહિતના અન્ય પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેના આયોજન અર્થે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
જિલ્લા કલેકટરશ્રીએ કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે સંબંધિત વિભાગના અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બારડોલી ખેડૂત સંમેલનમાં આવનાર ખેડૂતોને સરદાર પટેલના વિઝનરી વ્યકિતત્વ અને ખેડૂત સત્યાગ્રહ વિશે માહિતગાર કરવા, ખરીફ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન, નફાકારક પ્રાકૃતિક કૃષિ, ટકાઉ ખેતી, સોઈલ હેલ્થ કાર્ડના લાભ, નેનો ફર્ટીલાઈઝર યુરિયા અને નેનો ડીએપીના ઉપયોગ તેમજ આધુનિક બિયારણ અંગે ખેડૂતોને માહિતગાર કરાશે. આ ઉપરાંત ખેતીવાડી, બાગાયત, પશુપાલનની ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ વિષે પરિસંવાદ તેમજ ૨૦ કૃષિ પ્રદર્શન સ્ટોલ ઉભા કરી ખેડૂતોને કૃષિલક્ષી માર્ગદર્શન અપાશે. આ સંમેલનમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત અન્ય જિલ્લાના ખેડૂતો પણ જોડાશે.
આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે યોજનાઓના મંજૂરીપત્રો, કૃષિ કિટ્સ, સન્માનપત્રો, સહાય હુકમોનું વિતરણ કરવામાં આવશે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલ, નિવાસી અધિક કલેકટર વિજય રબારી, જિલ્લા ખેતીવાડી અધિકારી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.