નસિંગ સ્ટાફમાં દર્દીની સેવા, સુશ્રુષા, દર્દીઓ સાથે પારિવારિક આત્મીય ભાવના જળવાઈ રહે એવા અનોખા ઉદ્દેશ સાથે સામાજિક જાગૃત્તિનો સંદેશ

નસિંગ સ્ટાફમાં દર્દીની સેવા, સુશ્રુષા, દર્દીઓ સાથે પારિવારિક આત્મીય ભાવના જળવાઈ રહે એવા અનોખા ઉદ્દેશ સાથે સામાજિક જાગૃત્તિનો સંદેશ
રાજ્ય સરકાર દ્વારા નવી સિવિલમાં ૩ કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂંક કરાતા નવી સિવિલ સ્ટાફ દ્વારા અંગદાન, જળસંચય, નો ડ્રગ્સના પોસ્ટર્સ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરી નિમણૂંકને આવકારી
નર્સિંગ સુપ્રિ.ને ફૂલોથી નહીં, પણ સામાજિક સંદેશ આપીને સિવિલના મેડિકલ, નર્સિંગ સ્ટાફે હકારાત્મક સ્વાગત કર્યું
રાજ્ય સરકાર દ્વારા નવી સિવિલ હોસ્પિટલમાં ૩ કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂંક કરાતા નવી સિવિલ સ્ટાફ દ્વારા અંગદાન, જળસંચય, નો ડ્રગ્સના પોસ્ટર્સ, પ્લેકાર્ડ્સ પ્રદર્શિત કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
અંગદાન પ્રત્યે મહત્તમ લોકો જાગૃત્ત થાય એ ઉદ્દેશથી અંગદાન મહાદાન જનજાગરણ અભિયાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખની પ્રેરણા સાથે કોર્પોરેટર વ્રજેશ ઉનડકટ, તબીબી અધિક્ષક ડો.ધારિત્રી પરમાર, પ્લાસ્ટિક સર્જન ડો.નિલેશ કાછડિયા, નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા, ડો.લક્ષ્મણ ટહેલાની, નર્સિંગ એસો.લોકલના પ્રમુખ અશ્વિન પંડ્યા, નિલેશ લાઠીયા, વિરેન પટેલ, જગદીશ બુહા, સંજય પરમાર સહિત નર્સિંગ ફેકલ્ટીઝ અને મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે ઉપસ્થિત રહી નસિંગ સ્ટાફમાં દર્દીની સેવા, સુશ્રુષા, દર્દીઓ સાથે પારિવારિક આત્મીય ભાવના જળવાઈ રહે એવા અનોખા ઉદ્દેશ સાથે અંગદાન, જળસંચય, નો ડ્રગ્સ માટે જાગૃત્તિના સૂત્રોચ્ચાર કરી અંગદાન અને જળસંચય કરવા તેમજ ડ્રગ્સના દૈત્યને નાથવા સામૂહિક સંકલ્પ લીધા હતા.
બ્રેઈનડેડ થવાના બનાવોમાં અંગદાતા પરિવાર દ્વારા સ્વજનના કિડની, લીવર, હૃદયના દાનથી હજારો જરૂરિયાતમંદ નાગરિકોને નવજીવન મળે છે, સાથોસાથ ડ્રગ્સની લતમાં ફસાયેલો યુવાન પોતાની અને પરિવારની બરબાદી નોતરે છે એ વાસ્તવિકતા તેમજ વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારવાના અભિયાનને આગળ વધારવાના પ્રયાસોમાં સૌને સહભાગી થવા જાગૃત્ત કરાયા હતા.
આ પ્રસંગે ગુજરાત નર્સિંગ કાઉન્સીલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જી.પી.એસ.સી. મારફતે રાજ્યમાં કુલ ૧૬ કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની જગ્યાઓ ભરવામાં આવી છે, જે પૈકી ૩ ની સુરતમાં નિમણૂંક કરાઈ છે. સાથોસાથ પ્રિન્સીપાલોની ૨૨ જગ્યાઓ પર ભરતી થઈ છે. વર્ષ ૨૦૧૪ બાદ ૨૦ હજાર નર્સિસની ઐતિહાસિક ભરતી કરવામાં આવી છે. નર્સીસ દર્દીઓ અને તેમના પરિવાર સાથે આત્મીયતા અને ૨૪x૭ સંપર્ક હોય છે. સમગ્ર દેશમાં એક માત્ર ગુજરાતમાં આ સૌથી વધુ નર્સીસની નિમણૂંક છે. વર્ષો પછી થયેલી આ ભરતી માટેના સરકારના પગલા બદલ રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, આ ભરતીઓથી નર્સિંગ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે ખૂબ ફાયદો થશે. દિલીપદાદા દેશમુખની મુહિમના કારણે અંગદાનનું પ્રમાણ વધ્યું છે. આ સંદર્ભે ૩ નર્સિંગ સુપ્રિ.ને ફૂલોથી નહીં, પણ સામાજિક સંદેશ આપીને સિવિલના મેડિકલ, નર્સિંગ સ્ટાફે હકારાત્મક રીતે સ્વાગત કર્યું છે.
કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે જણાવ્યું હતું કે, કાયમી નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટની નિમણૂંક તેમજ ખૂબ મોટી સંખ્યામાં ઐતિહાસિક ભરતીના કારણે દર્દીઓના આરોગ્ય અને સુશ્રુષામાં વધારો થશે. અને નર્સિંગ બહેનો તરફથી ઉમદા, ગુણવત્તાયુક્ત સેવાઓ પ્રાપ્ત થશે એમ જણાવી તેમણે કોવિડના કપરા સમયમાં નવી સિવિલ હોસ્પિટલ દ્વારા દર્દીનારાયણની સેવાઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.