લતા મંગેશકર પ્રા. શા. ક્ર. 355, ઉત્રાણમાં ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ’ સેમિનાર યોજાયો

લતા મંગેશકર પ્રા. શા. ક્ર. 355, ઉત્રાણમાં ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ’ સેમિનાર યોજાયો
વિશ્વની પ્રત્યેક શોધમાં વિચારશક્તિનું સૌથી વધારે મહત્ત્વ; વિચારશક્તિ ખિલવવાનું સર્વોત્તમ માધ્યમ માતૃભાષા છે. – રાજેશ ધામેલિયા
વિદ્યાર્થીઓ માતૃભાષા ગુજરાતીમાં સજ્જતા કેળવી શકે તે માટે જરૂરી માર્ગદર્શન મળી રહે તેવા ભાવ સાથે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ – સુરત સંચાલિત લતા મંગેશકર પ્રા. શા.ક્ર. 355, ઉત્રાણ, સુરત ખાતે તા. 09-09-2026 ને બુધવારના રોજ ‘સાચી જોડણી સહેલાઈથી શીખવાની પ્રયુક્તિઓ’ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનો દોર શ્રી શેતલબહેન ઢોલા દ્વારા સંભાળવામાં આવેલ. આ કાર્યક્રમનું સમગ્ર આયોજન શાળાના આચાર્યશ્રી રાજેશભાઈ માંગુકિયાના માર્ગદર્શન હેઠળ શ્રી હેતલબહેન સિહોરા દ્વારા કરવામાં આવેલ. શાળાના આચાર્ય દ્વારા શ્રી રાજેશભાઈ ધામેલિયાનું પુષ્પગુચ્છ, પુસ્તક અને વંદે માતરમના સ્મૃતિચિહ્ન દ્વારા અભિવાદન કરવામાં આવેલ
વિદ્યાર્થીઓ ગમ્મત સાથે ભાષાનું શિક્ષણ મેળવે તે માટે બે જૂથમાં વિદ્યાર્થીઓને વહેંચવામાં આવ્યા હતા.પોતાનાં જૂથને વિજેતા બનાવવા અને નવું શીખવા ખૂબ ઉત્સાહ અને તત્પરતા દાખવી હતી. આ ઉપરાંત જોડણીના નિયમો વાર્તા, વિવિધ ઉદાહરણો દ્વારા સરળ અને રસાળશૈલીમાં શીખવ્યા હતા. સમાન જણાતાં શબ્દોની જોડણીમાં અલગ અલગ નિયમો લાગુ પડે છે, તેને સરળતાથી કેવી રીતે યાદ રાખવું – સમજવું તે અંગે પ્રશ્નોત્તરી દ્વારા સ્પષ્ટ સમજ આપવામાં આવી હતી.
આ અવસરે શ્રી રાજેશકુમાર ધામેલિયા જણાવ્યું હતું કે, “વિશ્વની પ્રત્યેક શોધમાં વિચારશક્તિનું સૌથી વધારે મહત્ત્વ; વિચારશક્તિ ખિલવવાનું સર્વોત્તમ માધ્યમ માતૃભાષા છે. માતૃભાષા પર પ્રભુત્વ મેળવવાથી દુનિયાની કોઈ પણ ભાષા સહેલાઈથી શીખી શકાય છે. શિક્ષણ એટલે માત્ર પરીક્ષામાં સારી ટકાવારી મેળવવી એટલું નહીં, વિદ્યાર્થીઓની વિચારશક્તિ ખીલવે તે શિક્ષણ. વિચારશક્તિ, તર્કશક્તિ, નિર્ણયશક્તિ, સમજશક્તિ વગેરે ખીલવવા માતૃભાષા ખૂબ મદદરૂપ થાય છે. ભાષાશિક્ષણ મેળવીએ ત્યારે એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, જોડણીના નિયમો ગોખવાના નથી. વિવિધ ઉદાહરણો દ્વારા નિયમો સમજવાના છે, જેથી જ્યારે જ્યારે વાચન કરીએ ત્યારે નિયમ યાદ આવે તેવું થવું જોઈએ.”



