શિક્ષા

માંડવી અને ગોડસંબાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો-૯ અને ૧૧ ના ૫૭૨ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ

માંડવી અને ગોડસંબાની માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો-૯ અને ૧૧ ના ૫૭૨ વિદ્યાર્થીઓને શાળાપ્રવેશ કરાવતા આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ
 કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના અભિયાનના પરિણામે શાળાઓમાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો ખૂબ જ ઊંચો આવ્યો છેઃ
 રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં આવેલ બદલાવના કારણે દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છેઃ
– આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ

રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ–કન્યા કેળવણી મહોત્સવના અંતિમ દિને આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ માંડવી તાલુકાની બે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ધો-૯ અને ધો-૧૧ના કુલ ૫૭૨ વિદ્યાર્થીઓને ગણવેશ અને પાઠયપુસ્તક સાથેની શૈક્ષણિક કીટ આપી શાળાપ્રવેશ કરાવ્યો હતો.
મંત્રીશ્રીએ માંડવીની શ્રી વી.એફ.ચૌધરી માધ્ય. અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધો-૯માં ૩૯૬, ધો-૧૧માં ૧૭૬ મળીને કુલ ૪૭૨ વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો હતો, જ્યારે ગોડસંબાની શ્રીમતી બી.વી.પટેલ સાર્વજનિક હાઈસ્કુલ ખાતે ધો-૦૯ના ૧૦૦ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ અભિયાનના પરિણામે શાળાઓમાં વિદ્યાર્થીઓનો નામાંકન રેશિયો ખૂબ જ ઊંચો આવ્યો છે. રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં આવેલ બદલાવના કારણે દીકરા-દીકરીઓ ઉચ્ચ અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડી રહ્યા છે.
મંત્રીશ્રીએ રાજ્યના છેવાડાનાં બાળકોને શ્રેષ્ઠ અને આધુનિક શિક્ષણ મળતું થયું છે એમ જણાવી બાળકો સરકારી શાળાઓમાં ભણીને ઉચ્ચ જીવન ઘડતર સાથે દેશની વિકાસયાત્રામાં પોતાનું યથાયોગ્ય યોગદાન આપે એ માટે બાળકોને તેમણે પ્રેરિત કર્યા હતા.
રાજ્ય સરકારની વિવિધ શિક્ષણલક્ષી યોજનાઓનો ચિતાર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થી હિતલક્ષી યોજનાઓના લાભ લઈ પછાત વર્ગ, આદિવાસી વિદ્યાર્થીઓ પાયલોટ બનીને વિમાન ઉડાડતા થયા છે. સરકારી શાળામાં ઉચ્ચ શિક્ષણ સુવિધાઓ વધતા પ્રાઈવેટ શાળાને બદલે સરકારી શાળામાં બાળકોનું નામાંકન વધ્યું છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ વાલીઓને ટકોર કરતા કહ્યું કે, બાળકોના વાલીઓએ સમાયંતરે શાળા મુલાકાત લઈ બાળકોના શિક્ષણની કાળજી લેવી જોઈએ.
સાથે જ તેમણે શાળા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓના માતા-પિતા સાથે સંવાદ કરી બાળકોને સારા ગુણો, વ્યસનથી દૂર રાખવા માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન તેમજ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. તેમજ સૌએ માર્ગ સલામતી માટે સામૂહિક સંકલ્પ ગ્રહણ કર્યો હતો.
આ પ્રસંગે આદિજાતિ વિકાસ વિભાગના મદદનીશ કમિશનરશ્રી આર.બી.બારડ, આદિજાતિ વિકાસ અધિકારીશ્રી ઓ.એમ.પરમાર, જિ.શિક્ષણ વિભાગના નરેન્દ્ર પરમાર, મામલતદારશ્રી જી.આર.મિસ્ત્રી, અગ્રણી અનિલભાઈ, પ્રિતેશભાઈ, સરપંચશ્રી ધર્મેશ ચૌધરી સહિત શાળાના આચાર્ય-શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વાલીઓ અને પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button