નાનીદાબદર ગામે તાજેતરમાં મરામત કરેલા ચેકડેમમાં ફરી લીકેજ: દમણ ગંગા વેર -2 વિભાગનો ભ્રષ્ટ્રાચાર ખુલ્લો

Surat News: વઘઇ, તા. 25 : વઘઇ તાલુકાના નાનીદાબદર ગામે દમણ ગંગા વેર -2 વિભાગ દ્વારા તાજેતરમાં મરામત કરાયેલ ચેકડેમ સામાન્ય વરસાદમાં જ ફરી લીકેજ થવાથી લાખો રૂપિયા પાણીમાં વહી ગયા છે, તેમ સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ડાંગ જિલ્લાના પાણીની તંગી દૂર કરવા દમણગંગા વેર -2 વિભાગે લખમાતાઓ પુર્ણા, ખાપરી, અને અંબિકા નદીઓ પર ચેઇન સિસ્ટમથી ચેકડેમોનું નિર્માણ હાથ ધર્યું હતું. આ ચેકડેમો માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. નાનીદાબદર ખાતે મરામત કરાયેલા ચેકડેમ ગત ચોમાસામાં ધોવાઈ ગયા હતા, જેને 2024માં ફરી મરામત કરવામાં આવ્યા હતા. હાલમાં પડેલા સામાન્ય વરસાદમાં જ આ ચેકડેમ ફરી લીકેજ થઈ જવાથી ભ્રષ્ટ્રાચાર ખુલ્લો પડી ગયો છે.
તેથી, સ્થાનિક ખેડૂતોમાં માંગ ઉઠી છે કે તાજેતરમાં રીપેર કરેલા ચેકડેમોની ગુણવત્તા ચકાસી અને સરકારી નાણાંનો દુરુપયોગ કરતા અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે.
અંબિકા નદીના કેચમેન્ટ એરિયામાં 7 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલા ચેકડેમમાં ગેરરીતિ આચરી નદીના ગોળ પથ્થરો નાખવામાં આવ્યા હતા, જે બાદ ઇજારદારે ગ્રામજનોની લેખિત માફી માંગી હતી.
હવે, નાનીદાબદર ગામે તાજેતરમાં રીપેર કરેલા ચેકડેમના ફરી ધોવાઈ જવાથી સ્થાનિક આગેવાન દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજુઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે.