૫૦ વર્ષ જૂની ખજૂરાવાડીની મિલકત વિવાદમાં આરોપીના રિમાન્ડની પોલીસ અરજી ના-મંજૂર

૫૦ વર્ષ જૂની ખજૂરાવાડીની મિલકત વિવાદમાં આરોપીના રિમાન્ડની પોલીસ અરજી ના-મંજૂર
ઘર ખાલી કરાવવા પોલીસે ખોટો કેસ ઊભો કર્યો હોવાની એડવોકેટ અશ્વિન જોગડિયાની ધારદાર રજૂઆત અદાલતે માન્ય રાખી
લાલગેટ પોલીસ મથકની હદમાં પચાસ વર્ષથી વધુ જૂના ખજૂરાવાડી વિસ્તારમાં રહેતા ભાડુત પાસેથી કહેવાતી બોગસ ભાડાચિઠ્ઠી કબ્જે કરવા માટે રિમાન્ડની માંગ કોર્ટે ફગાવી દીધી હતી.
કોર્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર ફરિયાદી મોહમદ ફીરોઝ મુનશીની ફરિયાદના આધારે લાલગેટ પોલીસે મિલકત પચાવી પાડવાના ઈરાદે ખોટી ભાડાચીઠ્ઠી બનાવવાના કેસમાં યુસુફ ભીખન શેખ (રહે. ખજૂરાવાડી, વરિયાળી બજાર) ની તા. 23-5-2026 ના રોજ ધરપકડ કરી હતી, અને ગઈકાલે સાંજે કોર્ટમાં રજૂ કરી 3 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જ્યાં બચાવ પક્ષે એડવોકેટ અશ્વિન જોગડિયાએ દલીલ કરી હતી કે, તેમનો પરિવાર પચાસ વર્ષ ઉપરાંતથી ખજૂરાવાડીના આ ઘરમાં રહે છે, અને ત્યાં 100 થી વધુ ખોલીઓ છે. ફરિયાદીએ વર્ષ 2012 માં ભાડુતો સાથે તકરારી મિલ્કતો ખરીદી છે અને તેનો દસ્તાવેજમાં ઉલ્લેખ છે. સમગ્ર કેસ ભાડુત અને મકાન માલિક વચ્ચેની મિલ્કતના કબ્જાની તકરારનો છે. જે સિવિલ નેચરનો છે, અને આવા કેસને ક્રિમિનલ સ્વરૂપ આપી શકાય નહીં.
વધુમાં એડવોકેટ જોગડિયાએ કોર્ટમાં એવી પણ રજુઆત કરી હતી કે, ઘર ખાલી કરાવવા ફરિયાદીએ પોલીસ સાથે મળીને ખોટો કેસ ઉભો કર્યો છે. કોઈ બનાવટી ભાડાચિઠ્ઠી બની નથી. ફરિયાદી ખુદ જ બનાવનો સમયગાળો વર્ષ 1995 થી 2023 સુધીનો હોવાનું જણાવે છે. જે વર્ષો જૂની વાત છે. રિમાન્ડ દરમિયાન પોલીસ ખોટી કબૂલાતો કરાવે તેવી પણ દહેશત છે. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ અદાલતે આરોપીના રિમાન્ડની અરજી નામંજૂર કરી હતી, અને આરોપીને જ્યુડીશ્યલ કસ્ટડી મોકલી આપ્યો હતો.



