બોર્ડર પર તનાવ વચ્ચે છ રાજ્યોમાં એલર્ટ, સરકારી અધિકારીઓની રજાઓ રદ્દ

બોર્ડર પર તનાવ વચ્ચે છ રાજ્યોમાં એલર્ટ, સરકારી અધિકારીઓની રજાઓ રદ્દ
પાકિસ્તાન સાથે વધી રહેલા તણાવ અને પહલગામ આતંકી હુમલાઓના જવાબમાં ભારત દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહી બાદ દેશના અનેક સીમાવર્તી રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત, પશ્ચિમ બંગાળ તથા બિહારમાં પ્રશાસને સુરક્ષાને ધ્યાનમાં રાખી કડક પગલાં લીધા છે. પંજાબમાં ફિરોજપુર, પઠાનકોટ, ફાજિલ્કા, અમૃતસર, ગુરદાસપુર અને તરનતારન જેવા સીમાવર્તી જિલ્લાઓમાં તમામ સ્કૂલો અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. તેમજ પોલીસ કર્મીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
હરિયાણામાં પણ પોલીસ અને સ્વાસ્થ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. રાજસ્થાનના શ્રીગંગાનગર, બિકાનેર, જોધપુર, જેસલમેર અને બાડમેર જિલ્લામાં શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે અને હવાઈ હુમલાઓની આશંકાને ધ્યાને રાખી બ્લેકઆઉટ લાગૂ કરાયો છે.
ગુજરાતની સીમાઓ પર સુરક્ષા કડક કરવામાં આવી છે. રાજકોટ રેન્જમાં આવેલા જામનગર, મોરબી અને દેવભૂમિ દ્વારકામાં સમુદ્રતટીય પોલીસને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યા છે. તમામ પોલીસ કર્મીઓની રજા તત્કાલ રદ કરાઈ છે.
પશ્ચિમ બંગાળ સરકારે પણ રાજ્યના તમામ સરકારી કર્મીઓની રજા રદ કરી દેવામાં આવી છે. તેમજ બિહારમાં ઓપરેશન સિંદૂર બાદ મુખ્યમંત્રી નીતિશકુમારે સીમાવર્તી જિલ્લાઓમાં સુરક્ષા સ્થિતિની સમીક્ષા કર્યા બાદ પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓની રજાઓ રદ કરી દીધી છે.
ભારતની કડકાઈ પાછળ પહલગામમાં થયેલા આતંકી હુમલાની પ્રતિક્રિયા છે જેમાં 26 નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યો હતો. જે બાદ ભારતે પાકિસ્તાન તથા પીઓકેમાં સ્થિત આતંકી જગ્યાઓ પર જબરજસ્ત કાર્યવાહી કરી, જે બાદ તણાવની સ્થિતિ સર્જાવા પામી છે.