વ્યાપાર

જેપી એસો.ની પરંપરા અદાણી સમૂહના વડપણમાં આગળ ધપશે: જયપ્રકાશ ગૌર

જેપી એસો.ની પરંપરા અદાણી સમૂહના વડપણમાં આગળ ધપશે: જયપ્રકાશ ગૌર
જેપી.એસો. સંપત્તિઓના હસ્તાંરણની બિડમાં ધિરાણકર્તાઓની અદાણીની પસંદગીના નિર્ણયને ગૌરનો ટેકો
નવી દિલ્હી : ભારતના નાદાર જાહેર થયેલ આંતર માળખાકીય બાબતોના ઉદ્યોગ સમૂહ જયપ્રકાશ એસોસિએટ્સ લિ. (JAL) ની સંપત્તિઓ હસ્તગત કરવા માટેના બિડમાં અદાણી ગ્રુપની પસંદગી કરવાના ધિરાણકર્તાઓના નિર્ણયને જેપી ગ્રુપના સ્થાપક જયપ્રકાશ ગૌરે આવકારીને તેને ટેકો આપ્યો છે.
ગત નવેમ્બરમાં, જયપ્રકાશ એસોસિએટ્સ લિ ના લેણદારોની સમિતિ (CoC) એ અદાણી એન્ટરપ્રાઇઝ લિ.ની નાદારી પ્રક્રિયા દ્વારા તેની સંપત્તિઓ હસ્તગત કરવા માટે રૂ. ૧૪,૫૩૫ કરોડની બિડને મંજૂરી આપી હતી.
૧૭ માર્ચે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)ની, અલ્હાબાદ બેન્ચે આ બિડને મંજૂરી આપી હતી. રુ. ૧૭,૯૨૬ કરોડ રૂપિયાની બોલી લગાવનાર વેદાંતા ગ્રુપ દ્વારા આ નિર્ણયને NCLTની એપેલેટ ટ્રિબ્યુનલમાં પડકારવામાં આવ્યો હતો, જે હાલમાં એપેલેટ ટ્રિબ્યુનલમાં સુનાવણી હેઠળ છે, જેણે NCLTના નિર્ણય પર વચગાળાનો સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પણ NCLT ના આદેશ પર સ્ટે આપ્યો નથી.
૧૯૭૯માં તેની સ્થાપનાથી જેપી એસોસિએટ્સ એક બહુવિધ કંપની બનવા સાથે તેની આજીવન સફર દ્રઢતા અને રાષ્ટ્રનિર્માણના માર્ગ ઉપર રહી છે તેનો ઉલ્લેખ કરતા ગૌરે જણાવ્યું છે કે કોર્પોરેટ નાદારી ઠરાવ પ્રક્રિયા તરફ દોરી જનારા તાજેતરના નાણાકીય પડકારો બધા હિસ્સેદારો માટે મુશ્કેલ રહ્યા છે. આ સમયગાળામાં અમે ઘર ખરીદનારાઓ, કર્મચારીઓ, ધિરાણકર્તાઓ અને ભાગીદારો સાથે મળીને ન્યાયી અને વિશ્વસનીય સંકલ્પોને સક્ષમ બનાવવા માટે ઇમાનદારી અને પ્રતિબદ્ધતા સાથે કામ કર્યું છે હોવાનું તેમણે કહ્યું હતું.
ગૌરે ભારપૂર્વક જણાવ્યું હતું કે જેપી સમૂહે એક એવી સંસ્થા સ્થાપી છે જેણે બુદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટ, મુખ્ય હાઇડ્રોપાવર પ્રકલ્પો, સિમેન્ટ ક્ષમતા અને જેપી વિશ ટાઉન, જેપી ગ્રીન્સ અને જેપી સ્પોર્ટ્સ સિટી સહિતના સંકલિત વિકાસ જેવી પ્રતિષ્ઠિત સંપત્તિઓનું નિર્માણ કર્યું છે. અમારી આ સફર એક વ્યક્તિગત ગર્વનો વિષય છે.
આજે એક નિવેદનમાં આ નિર્ણયને વધાવતા ગૌરે જણાવ્યું હતું કે લેણદારોની સમિતિએ જે.પી.એસોસિએટ્સની સંપતિના હસ્તાંતરણ માટે એક નિવડેલા બિડર તરીકે અદાણી ગ્રુપની કરેલી પસંદગી યથાર્થ છે.
તેમણે આ અંગે અદાણી ઔદ્યોગિક સમૂહના વડા ગૌતમ અદાણીના નેતૃત્વમાં ભારોભાર વિશ્વાસ વ્યકત કરતા કહ્યું હતું કે આંતર માળખાકીય સુવિધાઓના નિર્માણમાં દેશમાં ટોચના સ્થાને પહોંચેલો અદાણી સમૂહ જયપ્રકાશ એસોસિએટ્સની અસ્કયામતોનો વારસો નવી ઉર્જા, જવાબદારી અને ઉચિત લક્ષ્ય સાથે તમામ હિસ્સેદારોની આકાંક્ષાઓ પૂર્ણ થાય તે દીશામાં આગળ ધપાવશે. અદાણી ગ્રુપને શુભેચ્છાઓ પાઠવતા શ્રી ગોરે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ આ સફરને આગળ ધપાવશે.
જયપ્રકાશ એસોસિએટ્સના લેણદારોની સમિતિ અને નામી રિઝોલ્યુશન પ્રોફેશ્નલ દ્વારા સંપૂર્ણ પારદર્શી અને ન્યાયી પ્રક્રિયાની પ્રશંસા કરી નાદારીની કામગીરીમાં ભાગ લેવા માટે અદાણી અને વેદાંતા સમૂહોનો શ્રી ગોરે આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button