ધર્મ દર્શન

વાગડભૂમિની કથાનું સમાપન,આગામી-૯૩૪મી રામકથા ખાંડા(ધરમપુર)થી ચૈત્ર નવરાત્રિ ૯ એપ્રિલથી આરંભાશે.

વાગડભૂમિની કથાનું સમાપન,આગામી-૯૩૪મી રામકથા ખાંડા(ધરમપુર)થી ચૈત્ર નવરાત્રિ ૯ એપ્રિલથી આરંભાશે.

નવમા દિવસે ઉપસંહારક કથા અગાઉ મનોરથી પ્રવિણભાઈ તન્ના તરફથી સમગ્ર કથા આયોજન માટે બધા જ લોકો તરફ આભારનો ભાવ વ્યક્ત થયો. બાપુએ કહ્યું એવું પણ વિચારાઇ રહ્યું છે કે માત્ર મનોરથ કરવાથી મનોરથ પૂરા થાય?બાપુએ જણાવ્યું કે આપણા મનોરથો શ્રાવણના હશે તો પૂરા થશે,રાવણના હશે તો નહીં થાય.માત્ર બુદ્ધિથી વિચારશો તો જવાબ નહીં મળે,બહુ જ,બહુ જ મજબૂત શ્રદ્ધાની જરૂર પડશે.જે મનોરથની પાછળ સત્ય હશે,જેની પાછળ શિવ હશે અને જેને સુંદરતાનો ધક્કો હશે એ મનોરથ અસ્તિત્વએ પૂરા કરવા જ પડશે.રાવણના મનોરથની પાછળ સત્ય નથી.વિશ્વ કલ્યાણનો ભાવ નથી.રામના હાથે મૃત્યુ થાય એ વ્યક્તિગત ભાવ છે.બુધ્ધે કહેલું હું એકલો નિર્વાણ નહીં પામું.આખું જગત નિર્વાણ પામે ત્યારે જ પામીશ.જે મનોરથ અસુંદર નહીં હોય એને દુનિયામાં કોઈની તાકાત પુરા કરવામાં રોકી નહીં શકે કોઈ પણ સત્કર્મ,યજ્ઞ કરાવીએ તો એની પાછળ વિશ્વ કલ્યાણ હશે,સત્ય હશે તો સવાયું બનીને એ પૂરું થશે.મનોરથ પૂરા કરવા પુરુષાર્થ તો કરવો જ પડે.પરંતુ સત્ય પ્રેરિત મનોરથને ક્રિયાનો આશરો લેવો પડતો નથી,એની મેળે ફળે છે.સાધુએ ક્યારેક ન કરેલા મનોરથો,સપનામાં,અજ્ઞાત ચિત્તમાં કે પરિવાર સામે કરેલા મનોરથોમાં વિશ્વ કલ્યાણના ભાવ હોય એનામાં શિવ તત્વ હોય તો પૂરા થાય છે.નરસિંહ મહેતાનાં બાવન મનોરથો પૂરા થયા એની પાછળ સત્ય શિવ અને સુંદરતાના ભાવ હતા.

માનસ સ્વયં એક મનોરથ છે.માનસ એટલે હૃદય, હૃદયનો મનોરથ છે,બુદ્ધિનો નહીં.એક-એક સોપાનનો એક-એક મનોરથ છે.સાતનું સેવન એ સાત કાંડના સાત મનોરથ છે.એટલે ‘સેવન’નું સેવન કરવું. બાલકાંડમાંથી એક વસ્તુ-નામનું સેવન કરવું.હરિનામ.જે નામમાં રુચિ હોય એ નામ.પણ તમે અનિર્ણિત હોવ તો રામનામનું સેવન કરવું. અયોધ્યા કાંડનો મનોરથ છે-વચનનું સેવન કરવું આપેલું વચન પાળવું જોઈએ.સામાનનું અહિત થવાનું હોય તો ચૂપ રહેવું જોઈએ.અરણ્યકાંડનો મનોરથ છે ભજનનું સેવન કરવું.

ભજનનો એક અર્થ કોઈની સેવા કરવી.અકારણ, પવિત્ર ભાવથી,કોઈની સામે મુસ્કુરાવુ એ પણ ભજન છે.ભજનમાં શબ્દ,રસ,રૂપ,સ્પર્શ અને ગંધ હોય છે.કિષ્કિંધાકાંડનો મનોરથ છે મૈત્રીનું સેવન કરવું.સંસારી હોવાના નાતે ઉદાસિન નહીં રહી શકાય રામે સુગ્રીવ સાથે મૈત્રી કરી છે.સાધુ સંતોને કોઈ મિત્ર કે દુશ્મન હોતા નથી કારણ કે એ ઉદાસિન હોય છે. આપણે જીવ છીએ.સુંદરકાંડનો મનોરથ-ધૈર્યનું સેવન કરવું.લંકાકાંડનો મનોરથ સંઘર્ષનું સેવન કરવું.જેમ જેમ પર્વત ઉપર ચડીએ એમ થાક લાગે છે. ઉત્તરકાંડનો મનોરથ છે વિશ્રામનું સેવન કરવું. કથાને અંતે સમગ્ર કથા આયોજન તરફ પોતાનો પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કરી અને આવતા વર્ષે ફરી પાછી કચ્છ ધરા પર કથા લઈને આવવાની વાત કરી અને સાધુવાદ આપ્યો. આરામ કથાનું સુંદર ફળ મા રવેચીના ચરણોમાં સમર્પિત કરીને કથાની પૂર્ણાહુતિ કરવામાં આવી.

આગામી-૯૩૪મી રામકથાનો આદિવાસી ક્ષેત્ર ખાંડા-ધરમપુર-વલસાડ ખાતે,ચૈત્રી નવરાત્રિનાં પાવન દિવસોમાં ૯ એપ્રિલ મંગળવારથી આરંભ થશે.જેનું જીવંત પ્રસારણ આસ્થા ટીવી ચેનલ અને ચિત્રકૂટધામ તલગાજરડા યુ-ટ્યુબ ચેનલનાં માધ્યમથી નિયમિત નિયત સમયે નિહાળી શકાશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button