નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી

નવચેતન અદાણી વિદ્યાલયમાં ‘પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની અનોખી ઉજવણી
હજીરા, સુરત : અદાણી ફાઉન્ડેશન સંચાલિત નવચેતન વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં ‘શાળા પ્રવેશોત્સવ’ અને ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉત્સાહભેર સંયુક્ત ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં અદાણી હજીરા પોર્ટના CEO પંકજ ઉકે મુખ્ય અતિથિ તરીકે, જ્યારે મરીન ટાસ્ક ફોર્સના મનિષ જાંબુકિયા અને PSI બી.આર. તડવી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે નવચેતન વિકાસ મંડળના પ્રમુખ ભગુભાઈ પટેલ, અદાણી ફાઉન્ડેશનના CSR હેડ શીતલબેન પટેલ, એજ્યુકેશન મેનેજર વિરાજ વોરા, માધ્યમિક-ઉચ્ચતર વિભાગના આચાર્ય સતીશભાઈ પટેલ અને પ્રાથમિક વિભાગના આચાર્યા પ્રિયંકાબેન પટેલ સહિત વાલીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.
આ વર્ષે બાલભવનથી ધોરણ-૮ માં કુલ ૯૩ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. અદાણી ફાઉન્ડેશન અને મરીન ટાસ્ક ફોર્સ દ્વારા તમામ નવોદિતોને સ્કૂલ કીટ અપાઈ હતી. પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક બાળ – એક વૃક્ષ’ અભિયાન હેઠળ વિદ્યાર્થીઓને ફળાઉ વૃક્ષના છોડ અર્પણ કરી પ્રવેશ કરાવાયો હતો. શાળા છેલ્લા ૮ વર્ષથી ધોરણ-૧ માં પ્રવેશતા બાળકોને છોડ આપવાની પરંપરા નિભાવી રહી છે. શિક્ષકો દ્વારા આ છોડના ઉછેરનું વાર્ષિક મૂલ્યાંકન કરી વિદ્યાર્થીના ‘વ્યક્તિત્વ વિકાસ પત્રક’માં તેની ખાસ નોંધ કરવામાં આવે છે.
કાર્યક્રમમાં મનિષ જાંબુકિયાએ બાળકોની સુરક્ષા, વર્તન અને અજાણી વ્યક્તિઓથી સાવચેત રહેવા અંગે સચોટ માર્ગદર્શન આપ્યું હતું. અંતમાં, મુખ્ય અતિથિ પંકજ ઉકેએ ગ્રામ્ય કક્ષાએ ગુણવત્તાયુક્ત શિક્ષણ, પર્યાવરણ જતન તથા બાળકોને ભારતીય સાંસ્કૃતિક અને ઐતિહાસિક મૂલ્યો સાથે જોડવાના મહત્વ પર વિશેષ ભાર મૂક્યો હતો.



