ભાડુત-મકાન માલિક વિવાદમાં ભાડુતને રાહત : કબ્જા વિવાદને ફોજદારી રંગ ન આપી શકાય

ભાડુત-મકાન માલિક વિવાદમાં ભાડુતને રાહત : કબ્જા વિવાદને ફોજદારી રંગ ન આપી શકાય
ખજૂરાવાડી વિસ્તારમાં આરોપીનો પરિવાર પચાસ વર્ષ ઉપરાંતથી રહે છે, ફરિયાદીએ વર્ષ 2012 માં ભાડુત સાથે તકરારી મિલ્કત ખરીદી છે અને તેનો દસ્તાવેજમાં ઉલ્લેખ છે : બચાવ પક્ષ
સુરત : ભાડુત અને મકાન માલિક વચ્ચેની તકરાર ને ફોજદારી સ્વરૂપ આપી શકાય નહીં તેવી બચાવ પક્ષની દલીલ માન્ય રાખીને સેશન્સ કોર્ટે કથિત બનાવટી ભાડા ચિઠ્ઠી વાળા કેસમાં ભાડુતને શરતોને આધીન જામીન આપ્યા છે. આ કેસની વિગત એવી છે કે, ફરિયાદી મોહમદ ફીરોઝ મુનશીની ફરિયાદના આધારે લાલગેટ પોલીસે મિલકત પચાવી પાડવાના ઈરાદે ખોટી ભાડાચીઠ્ઠી બનાવવાના કેસમાં અયુબ ભીખન શેખ (રહે. ખજૂરાવાડી, વરિયાળી બજાર) ની ધરપકડ કરી હતી. જેથી તેમણે એડવોકેટ અશ્વિન જોગડિયા મારફતે જામીન અરજી કરી હતી. જેમાં તેમણે કોર્ટમાં દલીલ કરી હતી કે, તેમનો પરિવાર પચાસ વર્ષ ઉપરાંતથી આ ઘરમાં રહે છે. ફરિયાદીએ વર્ષ 2012 માં ખજૂરવાડીમાં ભાડુતો સાથે તકરારી મિલ્કત ખરીદી છે અને તેનો દસ્તાવેજમાં ઉલ્લેખ છે. તથા આ તકરારી મિલ્કત બાબતે સુરત સિવિલ કોર્ટમાં દાવો પણ ચાલી રહ્યો છે. સમગ્ર કેસ ભાડુત અને મકાન માલિક વચ્ચેની મિલ્કતના કબ્જાના તકરાર બાબતનો છે. જે સિવિલ નેચરનો છે, અને આવા કેસને ક્રિમિનલ સ્વરૂપ આપી શકાય નહીં. બન્ને પક્ષકારોને સાંભળ્યા બાદ અદાલતે આરોપીને ₹૧,૦૦,૦૦૦/- ના વ્યક્તિગત બોન્ડ અને તેટલી જ રકમની જામીનગીરી પર મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.



