જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં કાશ્મીરી તેમજ આદિવાસી યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંગે આયોજન માટેની બેઠક યોજાઈ

સુરત:સોમવાર: જિલ્લા કલેકટર આયુષ ઓકની અધ્યક્ષતામાં અઠવાલાઈન્સ સ્થિત કલેકટર કચેરી ખાતે નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા યોજાનારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન તેમજ ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમના આયોજન અંગેની બેઠક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળના નેહરુ યુવા કેન્દ્ર-સુરત દ્વારા આગામી તા.૧૪ થી ૧૯ ડિસેમ્બર દરમ્યાન યોજાનારા કાશ્મીરી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ તેમજ તા.૪ થી ૧૦ જાન્યુઆરી ૨૦૨૪ દરમ્યાન યોજાનારા ૧૫મા આદિવાસી યુવા આદાન-પ્રદાન કાર્યક્રમ માટેના સુચારૂ આયોજન વિષે વિસ્તારમાં ચર્ચા કરવામાં આવી હતી.
ભાગ લેનારા યુવક-યુવતિઓ સુરત શહેર તથા જિલ્લાના પ્રવાસન સ્થળોની મુલાકાત, ગુજરાતની કલા-સંસ્કૃતિનું આદાન-પ્રદાન, રહેણીકરણી, યોજનાકીય માહિતીઓની જાણકારી, રાજ્યની શાંતિ અને સલામતીના કારણે ગરવી ગુજરાતની અભૂતપૂર્વ પ્રગતિ, સંસ્કૃતિ, જીવનશૈલી, ભાષાની ઝાંખી કરશે., ત્યારે કલેક્ટરશ્રી દ્વારા આગામી બન્ને કાર્યક્રમોમાં ભાગ લેનારા ૧૮ થી ૨૨ વર્ષના આદિવાસી યુવાઓ માટેના ભોજન, નિવાસ અને પ્રવાસ સહિતના પાસાઓ અંગે વિવિધ વિભાગના અધિકારીઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નિવાસી અધિક કલેકટર વાય.બી. ઝાલા સહિત વિવિધ શાખાના અધિકારી/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.