માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝારખંડ અને બિહારમાં પાંચ ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું

માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઝારખંડ અને બિહારમાં પાંચ ભવનોનું લોકાર્પણ કરવામાં આવ્યું
માતુ શ્રી કાશીબા હરિભાઈ ગોટી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભારતભરમાં અવિરતપણે સરસ્વતીધામ – શાળાભવનોનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્માણ અને ભારતીય સંસ્કૃતિનું સંરક્ષણ તેમજ સંવર્ધન થાય તે માટે દેશના અંતરિયાળ, પહાડી, દુર્ગમ વિસ્તારોમાં શાળાભવનો અને છાત્રાલયોનું નિર્માણ કરવામાં આવે છે. આ અભિયાન અંતર્ગત તાજેતરમાં બિહાર અને ઝારખંડના અંતરિયાળ વિસ્તારોમાં નવા વિદ્યાલયો અને છાત્રાલયોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પ્રકલ્પો દ્વારા હજારો વનવાસી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શિક્ષણની આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થશે.
૬ માર્ચ, ૨૦૨૬: બિહારના સેમરા (ચંપારણ) ખાતે માતુ શ્રી હીરૂબેન હીરાભાઈ ઇટાળિયા વિદ્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ભવન માટે શ્રી ડુંગરશીભાઈ હીરાભાઈ ઇટાળિયાએ ઉદાર હાથે સહયોગ આપ્યો છે. ૮ માર્ચ, ૨૦૨૬: ઝારખંડના લોહરદગા ખાતે ‘ગુરુકુળ શાંતિ આશ્રમ’ શિક્ષણ સાથી અભિયાન અંતર્ગત શૈક્ષણિક પ્રવૃત્તિઓનો પ્રારંભ કરવામાં આવ્યો. ૯ માર્ચ, ૨૦૨૬: ઝારખંડના થઈ (પશ્ચિમ સિંહભૂમ) ખાતે શ્રી રાકેશભાઈ એચ. દુધાતના સહયોગથી શ્રી મુક્તાબેન હિંમતભાઈ દુધાત છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું. ૧૦ માર્ચ, ૨૦૨૬: શ્રી વનવાસી કલ્યાણ કેન્દ્ર ગોયલકેરા, ઝારખંડ મુકામે શ્રી સ્વામિનારાયણ છાત્રાલય ખુલ્લું મૂકવામાં આવ્યું. જેના સહયોગી દાતા શ્રી ધીરજલાલ વી. કોટડિયા છે. ૧૧ માર્ચ, ૨૦૨૬: ઝારખંડના ડોરમા (ખુંટી) ખાતે શ્રી જિતેન્દ્ર ભાઈ કે. ભણસાલી ટ્રસ્ટના સહયોગથી તૈયાર થયેલ શ્રીમતી રંજનબેન કુમારપાલ મહેતા છાત્રાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું.
વિવિધ લોકાર્પણ પ્રસંગે આ પ્રકલ્પના મુખ્ય દાતા શ્રી કેશુભાઈ ગોટી, સહયોગી દાતાશ્રીઓ તેમજ તેમના પરિવારજનો, સ્થાનિક અગ્રણીઓ, વનવાસી કલ્યાણ કેન્દ્રના અગ્રણી પદાધિકારીઓ, પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા ઝારખંડ તથા ભાજપ પ્રદેશ અધ્યક્ષ ડૉક્ટર રાજીવ બિંદલ તથા સ્થાનિક વિધાયકો તેમજ નકુલ શર્મા, રાજેશ પ્રસાદ, પ્રશાંત આકાન્ત વગેરે સંગઠન સચિવો અને પદાધિકારીઓ, આર્ય સમાજના અગ્રણી શરદચંદ્ર આર્ય, કર્મયોગીઓ વગેરે હાજર રહ્યા હતા. સૌએ માતુશ્રી કાશીબા હરિભાઈ ગોટી ચેરીટેબલ ટ્રસ્ટના આ અપાર પરિશ્રમ અને કરુણાની ભાવનાને બિરદાવી હતી અને તમામ પ્રકારનો સહયોગ આપવા માટે પણ બાંહેધરી આપી હતી. સંસ્થાના આગેવાનોએ આ કાર્યમાં સહભાગી થનાર તમામ સેવાભાવી કાર્યકરો અને દાતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.



