રાજનીતિ

સમગ્ર દેશ શહીદોને વંદન અને મહામૂલી માટીને નમન કરી રહ્યો છે: કેન્દ્રીય રેલવે મંત્રી દર્શનાબેન જરદોશ

વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ

કેન્દ્રીય રેલવે અને ટેકસટાઈલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશની પ્રેરક ઉપસ્થિતિ

દિલ્હીના કર્તવ્યપથ ઉપર ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામોની માટીની સુવાસ મહેંકશે: વન, પર્યાવરણ રાજયમંત્રી

સુરતઃશુક્રવારઃ આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે દેશ-રાજ્યવ્યાપી ‘મારી માટી, મારો દેશ’ અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકા પંચાયત કચેરી ખાતે વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાની ‘અમૃત કળશ યાત્રા’ યોજાઈ હતી. કેન્દ્રીય રેલવે અને ટેકસટાઈલ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રીશ્રીએ જણાવ્યુ હતું કે, આપણું સૌભાગ્ય છે કે આઝાદ ભારતના આ ઐતિહાસિક સમયગાળાના સાક્ષી બની રહ્યા છીએ. દેશ શહીદોને વંદન અને મહામૂલી માટીને નમન કરી રહ્યો છે. મહિલા સશક્તિકરણ પર સતત ધ્યાન કેન્દ્રિત કરીને, દેશ મહિલાઓના વિકાસના અભિગમથી મહિલા નેતૃત્વના વિકાસ તરફ આગળ વધ્યો છે.

આ પ્રસંગે મંત્રીશ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે, માતૃભૂમિને સમર્પિત ‘મારી માટી મારો દેશ’ અભિયાન અંતર્ગત ઓલપાડ તાલુકાના ૧૦૮ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી પહોંચાડવામાં આવશે, જે આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃત વાટિકામાં ભળી જશે. આ સ્મારક આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીનું સ્મૃતિસ્થળ અને સાથે જ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરસપૂતો માટે સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનું કેન્દ્ર બિંદુ બનશે.

વધુમાં મંત્રીશ્રીએ કહ્યું કે, જેમ દેશના ખેડૂતોના ઓજારો, લોખંડથી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૮૨ મીટર ઉંચી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાકારિત થઈ છે, તેમ દેશના વિવિધ સ્થળેથી એકત્ર કરાયેલ માટીથી દિલ્હી ખાતે કર્તવ્ય પથ પર ‘અમૃત વાટિકા’ તૈયાર કરીને સ્વતંત્રતા, એકતા અને અખંડિતતામાં યોગદાન આપનાર નાયકોને સમર્પિત ‘અમૃત મહોત્સવ સ્મારક’ બનાવવામાં આવશે.

ઓલપાડ ખાતે રામચોકથી તાલુકા પંચાયત કચેરી સુધી યોજાયેલ અમૃત કળશ યાત્રામાં ગામની બાળાઓ, વિદ્યાર્થીઓ, NNC કેડેટ્સ, પોલીસ બેન્ડ સાથે અમૃત કળશ યાત્રા અને તિરંગા યાત્રા તાલુકાના ગામોના સરપંચશ્રીઓ જોડાયા હતા. આ અવસરે હાજર સૌ નાગરિકોએ પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, ઓલપાડ પ્રાંત અધિકાર પાર્થ તરસાડીયા, મામલતદાર લક્ષમણભાઈ ચૌધરી, તાલુકા વિકાસ અધિકારી સચિનભાઈ પટેલ, તા.પંચાયતના પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, ઓલપાડ તાલુકા સરપંચ, અગ્રણીઓ, મહામંત્રી જિલ્લા-તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, ગામે ગામથી કળશ લઈને આવેલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button