એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ ચોમાસામાં પશુ, પક્ષીઓનાં રક્ષણ માટે એડવાઈઝરી બહાર પાડી

National News: એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા (AWBI) એ પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ (PCA) એક્ટ, 1960 ની કલમ 4 હેઠળ સ્થાપિત એક વૈધાનિક સંસ્થા છે. જેમાં પ્રાણી કલ્યાણને પ્રોત્સાહન આપવા અને પ્રાણીઓને થતી બિનજરૂરી પીડા અથવા વેદનાને રોકવાના હેતુથી પશુ સંરક્ષણને લગતી બાબતો પર સરકારનાં સલાહકાર બોર્ડ તરીકે, પશુ કલ્યાણની સુરક્ષા માટે પરિપત્રો અને માર્ગદર્શિકા જાહેર કરે છે.
વર્તમાન ચોમાસાનાં સમય દરમિયાન પશુ, પક્ષીઓની સલામતી અને સુખાકારીની કાળજી લેવા માટે તમામ નાગરિકો, પશુ કલ્યાણ સંસ્થાઓ અને સ્થાનિક સત્તાવાળાઓએ સક્રિય પગલાં ભરવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે :
કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવા : વાંસ અથવા ટ્રેમ્પોલીન શીટ્સમાંથી સૂકી જગ્યાએ કામચલાઉ આશ્રયસ્થાનો બનાવવા જે જમીનના સ્તરથી ઊંચું હોય, સારી રીતે વેન્ટિલેટેડ હોય અને સલામત સ્થળોએ હોય કે જ્યાં રખડતા પશુ, પક્ષીઓ ભારે વરસાદ અથવા પૂર જેવી પરિસ્થિતિઓમાં આશ્રય મેળવી શકે.
ચોખ્ખું પાણી રાખવું : વિવિધ કન્ટેનરમાં પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવું જેથી વરસાદમાં પશુ, પક્ષીઓને પાણીની શોધમાં બહાર રખડવું ન પડે.
ઇમરજન્સી વેટરનરી સેવાઓ ઉપલબ્ધ રાખવી : બીમાર અથવા ઇજાગ્રસ્ત પશુ, પક્ષીઓ માટે ઝડપી સારવાર સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક પશુચિકિત્સા સેવાઓ સાથે સંકલન કરવું.
સમુદાયની ભાગીદારી અને સ્વયંસેવક કાર્યક્રમો ગોઠવવા : સમુદાયના સભ્યોને જો ઉપલબ્ધ હોય, તો રખડતા પશુ, પક્ષીઓને તેમના મંડપ, ગેરેજ અથવા કોઈપણ અન્ય ઢંકાયેલ જગ્યામાં આશ્રય લેવાની મંજૂરી આપવા માટે પ્રોત્સાહિત કરો.
ડ્રેનેજ, પાણી અને કચરાનું વ્યવસ્થાપન : પાણી ભરાતા અટકાવવા માટે યોગ્ય ડ્રેનેજ સિસ્ટમની વ્યવસ્થા કરો, કારણ કે ખુલ્લા ડ્રેનેજ રખડતા પશુ, પક્ષીઓ માટે ખતરો બની શકે છે.
પશુ, પક્ષીઓની જરૂરિયાતો વિશે લોકોને શિક્ષિત કરવા, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી, પોસ્ટરો શેર કરવા જોઈએ. સામાજિક બેઠકો યોજવી જોઈએ. અસરકારક કાર્યવાહી માટે સ્થાનિક મ્યુનિસિપલ સંસ્થાઓ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટ અને અન્ય સંબંધિત સંસ્થાઓ સાથે મળીને કામ કરવું જોઈએ.
આ વિષે વધુ માહિતી માટે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ www.awbi.gov.in નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.