કતારગામ કોમ્યુનિટી હોલ ખાતે કેન્દ્રીય રેલ્વે મંત્રી દર્શનાબેન જરદોશે રામલલ્લાની રંગોળીમાં રંગો પુર્યા

સુરતઃશુક્રવાર: અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરતમાં રામમય વાતાવરણ સાથે રોજ-રોજ અવનવા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે કતારગામ વસ્તાદેવડી રોડ સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે મોટાં મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્મિત આબેહૂબ રામલલ્લાની રંગોળીમાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્સટાઇલ રાજયમંત્રી દર્શનાબેન જરદોશે રંગો પૂર્યા હતા.
આ અવસરે શ્રીમતી દર્શનાબેન જરદોશે જણાવ્યું હતું કે, સુરત વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું શહેર બન્યું છે. ત્યારે સુરતે હવે કલા અને આર્ટ ક્ષેત્રે પણ અગ્રેસર થઈને સંદેશો પાઠવ્યો છે. સુરતની કલાર્પણ આર્ટ ગ્રુપની ૪૦ બહેનોએ મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી રિયાલિસ્ટિક શ્રીરામ રંગોળી બનાવવામાં આવી છે. પહેલી નજરે મનમોહિત થઈ જવાય એવી આ રંગોળી કુલ ૧૧,૧૧૧ સ્કે. ફૂટના વિસ્તારમાં બનાવાઈ છે. આકર્ષક એવી આ રંગોળીમાં અંદાજિત ૧૪૦૦ કિલોથી વધુ વિવિધ કલરના રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વિશેષ નોંધનીય બાબત એ છે કે, સંસ્થા સાથે સંકળાયેલી ૪૦ બહેનોએ સવારે ૫ વાગ્યાથી સાંજના ૦૮ વાગ્યા સુધી સતત ૧૫ કલાકની મહેનત સાથે આ રામ ભગવાનની ડિઝાઇનર રંગોળીમાં ધાર્મિક ભાવના સાથે આકર્ષક રંગ પૂર્યા હતા.