ધર્મ દર્શન

ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પૂ.મોરારીબાપુના આશીર્વાદ લીધા

 

રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ પૂ.મોરારીબાપુના આશીર્વાદ લીધા

 

રામકથાનાં શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ  – ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી

 

પૂ.મોરારીબાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્તની વિશેષ કામગીરી

તેમજ રામકથામાં સ્વયંસેવકોની સેવાને બિરદાવી હતી

 

નવસારી: નવસારીના લુન્સીકુઇ ખાતે પૂ.મોરારીબાપુની એક સપ્તાહથી ચાલી રહેલી રામકથાના પૂર્ણાહૂતિના દિવસે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ વિશેષ ઉપસ્થિત રહી પૂ.મોરારીબાપુના આશીર્વાદ લીધા હતાં.

આ અવસરે ગૃહ રાજયમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ જણાવ્યું હતું કે નવસારી ખાતે એક સપ્તાહથી ચાલી રહેલી રામકથામાં દક્ષિણ ગુજરાતના નાગરિકોને ખૂબ લાભ મળ્યો છે. પૂ.મોરારીબાપુએ સમાજમાં ફેલાયેલા કુરિવાજો અને દુષણો સામે લડવા અને બદલાવ લાવવા નવી રાહ ચીંધી છે. ગૃહમંત્રીશ્રીએ આજે રામનવમીના પાવન દિવસે સૌપ્રથમ શ્રીરામજીના દર્શન કર્યા બાદ પૂ.બાપુના દર્શનનો લાભ મળ્યો છે તેમ જણાવી આવનારા દિવસોમાં દુષણો સામે લડવા કટિબધ્ધતા વ્યકત કરી હતી. રામકથાનાં શ્રવણથી અનેક લોકોના જીવનમાં બદલાવ આવશે તેમ જણાવી પૂ.મોરારીબાપુનો આભાર વ્યકત કર્યો હતો.

પૂ.મોરારીબાપુએ આશીર્વચનમાં પોલીસ બંદોબસ્તની વિશેષ કામગીરી તેમજ રામકથામાં તમામ સ્વયંસેવકો ભાઇ-બહેનોની સેવાને બિરદાવી હતી. નવસારી ખાતે રામકથામાં ખૂબ સારી વ્યવસ્થાના આયોજન બદલ મોરારીબાપુએ રાજીપો વ્યકત કર્યો હતો. પૂ.બાપુએ કથાશ્રવણમાં આવેલા તમામ શ્રોતાજનોનો પણ આભાર વ્યકત કર્યો હતો. આજે રામનવમીના દિવ્ય દિવસે ભક્તજનોએ બે દિવા પ્રગટાવી રામનવમીની ઉજવણી કરવા કહયું હતું. વધુમાં, પૂ.બાપુ એ તાજેતરમાં કોરોનાના કેસો વધી રહયા છે એથી સાવચેતી જાળવવા જણાવ્યું હતું.

આ પ્રસંગે માજી મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા, નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ભુરાભાઇ શાહ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, અન્ય મહાનુભાવો, શ્રોતાજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button